________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧)
ભગવાન આત્મા
(૧)
પ્રશ્ન:- ભગવાન આત્માને જ્ઞાનમાત્ર શા માટે કહેવામાં આવે છે? આપ વારંવાર ‘ભગવાન આત્મા... ભગવાન આત્મા.....' કહો છો-મહેરબાની કરીને તેનું સ્વરૂપ બતાવો.
ઉત્ત૨:- ભાઈ ! ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત, અતિન્દ્રિય મહાપદાર્થ છે; તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે એ શરીર, મન, વાણી અને પુણ્ય-પાપરૂપ નથી. એક સમયની પર્યાય માત્ર પણ નથી. તે જ્ઞાન, દર્શન, અકાર્યકારણ, ભાવ-અભાવ આદિ અનંત શક્તિમય છે.
પ્રભુ! તારા ઘરની શું વાત કહેવી! તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે. અને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. એક એક શક્તિ અન્ય અનંત શક્તિઓમાં નિમિત્ત છે. એક એક શક્તિમાં અનંત પર્યાયો છે, તે પર્યાયો ક્રમે ક્રમે થાય છે, માટે તેઓ ક્રમવર્તી છે. અનંત શક્તિઓ એક સાથે રહે છે માટે તેઓ અક્રમવર્તી છે.
આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણપર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે માટે તેની દૃષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. ‘હું જ્ઞાન માત્ર વસ્તુ છું’-આવી દષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ, અકાર્યકારણત્ત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઊછળે છે, પ્રગટ થાય છે.
-હિંદી આત્મધર્મ જુન ૧૯૮૩, પૃષ્ઠ ૨૬-૨૭ (૨)
પ્રશ્ન:- ઊછળે છે એટલે શું?
ઉત્ત૨:- દ્રવ્ય વસ્તુ છે, તેમાં અનંતી શક્તિઓ છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે તેને ઊછળે છે એમ કહેવામાં આવે છે.
-આત્મધર્મ અંક ૪૦૮, ઓકટોબર ૧૯૭૭, પૃષ્ઠ ૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com