________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માગશર વદ ૯, મંગળ ૧૦-૧૨-પર
પ્ર. - ૪
આત્મા ચેતના આદિ અનંત ગુણોના પુંજરૂપ વસ્તુ છે, તે ગુણની પરિણતિ પોતાનામાં એકાગ્ર થાય તે અનુભવપ્રકાશ છે. સ્વમાં એકત્વ પામે ને રાગથી વિભક્ત થાય તેને મોક્ષનો માર્ગ કહે છે. અનુભવનો પ્રકાશ તે જ ક્રિયા છે. પર્યાયની ફેરણીને ક્રિયા કહે છે. પર તરફનું લક્ષ છોડી સ્વભાવ તરફ લક્ષ કરે તે ધર્મની ક્રિયા છે. જે રાગાદિની ક્રિયા થાય તે તો મોક્ષની કોતરણી છે, વસ્તુસ્વભાવમાં અંતર્મુખ થવાથી ધર્મ થાય છે. સાધકને શુભાશુભ ભાવ હોય છે પણ તે બંધનું કારણ છે. સ્વભાવના ભાનવાળાને તીવ્ર અશુભભાવ આવે નહિ.
કોઈ જીવો એક જ દ્રવ્ય કહે, કોઈ એક જ ગુણ કહે, કોઈ પર્યાયને ન માને, કોઈ ગુણને ઉપચાર માને તો તે બધા ખોટા છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, આત્મા ચેતના આદિ ગુણોનો પૂંજ છે, તે તરફનો ઝુકાવ કરવો તે ધર્મ છે.
દસ શક્તિની વાત થઈ. પોતાની પ્રભુતા પોતામાં ન હોય તો વસ્તુ ખંડિત થઈ જાય. પોતાની પ્રભુતા યાદ ન કરતાં રાગ તથા સંયોગને પ્રભુતા આપે તે રાંકો થઈને રખડે. શરીર, મન, વાણી અનુકૂળ છે, તેમ માની તેને મોટાઈ આપે છે તે કાયર છે. તેને પ્રભુત્વશક્તિની ખબર નથી.
૧૧. વિભુત્વગુણ :- જો વિભુત્વ ન હોત તો પ્રભુત્વ સર્વમાં કેવી રીતે વ્યાપત? જ્ઞાનગુણની પ્રભુતા, સૂક્ષ્મની પ્રભુતા-એમ દરેકની પ્રભુતા વિભુત્વને લીધે છે. કેટલાક જીવો કહે છે કે આત્મા લોકાલોકમાં વ્યાપેલ છે માટે તે વિભુ છે પણ તે વાત ખોટી છે. આત્મા સ્વક્ષેત્રવાળો સદા અસંખ્યપ્રદેશી છે તેમાં વિભુત્વગુણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com