________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૬, સોમ ૨૨-૧૨-પર
પ્ર.- ૧૬
આત્માના જ્ઞાનાનંદ સ્વભાવને અનુસરી વીતરાગી દશા થવી તેને અનુભવપ્રકાશ કહે છે. આત્મા કર્મના આવરણમાં ગુપ્ત છે, પણ તેથી આત્માનો અભાવ નથી. કોઈનો દીકરો ઘરમાં છે. તેના બાપને બજારમાં કોઈ દીકરાનું પૂછે તો દીકરો સાથે ન હોવા છતાં દીકરાનો અભાવ ન રહે, પણ દીકરો છે એમ કહે; તેમ આત્મા શીતલસ્વભાવી ને જ્ઞાનસ્વરૂપ છે, તે છતો સ્વભાવ છે, કર્મમાં ગુપ્ત છે માટે તે નથી એમ ધર્મી ન કહે.
જેમ બિલાડી લોટણ નામની વનસ્પતિ જોઈને ચક્રાવો માર્યા કરે, ફર્યા કરે તેમ સસ્વરૂપ એવા જ્ઞાનસ્વભાવને નહિ જોતાં સ્વરૂપની અસાવધાનીને લીધે જીવ પરિભ્રમણ કરે છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન ને આનંદમય છે, તેને અવલોક્યા વિના પરને મારું માની પરિભ્રમણ કરે છે, પણ સ્વનું અવલોકન કરવાથી પોતાનું રાજ્ય પામે. અજ્ઞાની શુભાશુભમાં રોકાઈને જ્ઞાન-આનંદ સ્વભાવની સાવધાની કરતો નથી, પણ જો સ્વરૂપની શ્રદ્ધા કરી લીનતા કરે તો ત્રણે લોકના પદાર્થોનો જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય. વિકાર ટાળવો ને નવો વિકાર આવો કરવો, તે પણ વસ્તુના સ્વરૂપમાં નથી. એક ક્ષણ પણ સ્વભાવસમ્મુખ જાએ તો પોતે જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય. ચિદાનંદ તરફ વળ્યો તે ક્રિયા છે. પૂર્વે શરીર, મન, વાણીથી લાભ માનતો હતો તે ઊંધી પર્યાય નાશ પામીને જ્ઞાનક્રિયા થઈ તે ધાર્મિક ક્રિયા છે.
પોતે જ્ઞાતા-દ્રષ્ટા થવું દુર્લભ નથી, સુલભ છે; કેમકે તે પોતાની ચીજ છે. બહારના સંયોગો પોતાને આધીન રાખવા તે દુર્લભ છે. શરીર અનંત આવ્યાં ને ગયાં, પોતે એનો એ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com