________________
શુદ્ધ જ્ઞાન-સંબંધી “વિચારો” થી અત્યંત પ્રફુલ્લિત (આનંદમય) થાય છે.
જેમ મેલા અરીસામાં મુખ નું પ્રતિબિંબ બરોબર પડતું નથી,તેમ,સંતોષ વિનાના અને “આશા” ઓથી પરવશ થયેલા,ચિત્તમાં (મનમાં) જ્ઞાનનું પ્રતિબિંબ પડતું નથી. જેના મનમાં સંતોષ રૂપી સૂર્ય ઉગે,અને જેનું મન “સંતોષ” થી સંતોષ પામે, તે મનુષ્ય ભલે દરિદ્ર (ગરીબ) હોય,તો પણ આધિ-વ્યાધિ થી રહિત ચક્રવર્તી રાજા જેવું સુખ ભોગવે છે.
આમ,જે, અત્યંત સૌમ્ય અને સદાચારી પુરુષ,અપ્રાપ્ત વસુઓને ઈચ્છતો નથી અને પ્રાપ્ત થયેલા, સુખ દુઃખ ને ભોગવ્યા કરે છે, તે “સંતુષ્ટ" કહેવાય છે. આથી, પુરુષે પ્રયત્ન થી પોતાની મેળે (પોતે), પોતાનામાં જ અત્યંત પૂર્ણતા મેળવવી, અને સર્વ પદાર્થો ની તૃષ્ણા છોડી દેવી, કે જેનાથી-તેનું “મન” અને “બુદ્ધિ” શાંત થવાને લીધે, પોતાની મેળે જ અખંડ સ્થિરતા ને પામે છે.
જેમ રાજાની પાસે ચાકરો (નોકરો પોતાની મેળે જ (સેવા-કે-નોકરી માટે) આવે છે, તેમ,સંતોષ થી પુષ્ટ થયેલા મનવાળા ની પાસે,મોટી-મોટી,વિવિધ સમૃદ્ધિઓ પોતાની મેળે જ આવે છે. હે,રામ,જે ઉત્તમ પુરુષ,આ જગતમાં ગુણવાન લોકો ને પ્રિય એવી “સંતુષ્ટતાથી વિભૂષિત હોય છે, તે પુરુષને દેવતાઓ અને મહા-મુનિઓ પણ “બુદ્ધિ” થી પ્રણામ કરે છે.
(૧૬) સત્સંગ વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે મહાબુદ્ધિમાન,વિશેષમાં (વધારામાં) મનુષ્યોને આ સંસાર તરી જવામાં, (બ્રહ્મ ને જાણનારા) સાધુ-મહાત્માઓનો સત-સમાગમ (સત્સંગ) પણ બહુ ઉપકારક થાય છે. જે મનુષ્ય મહાત્માઓ ના “સંગ-રૂપી-વૃક્ષ” થી ઉત્પન્ન થયેલા સ્વચ્છ “વિવેક-રૂપી-ફળ”ને, સાચવી રાખે છે, તેઓ મોક્ષ ની સંપત્તિના પાત્ર-રૂપ થાય છે.
સાધુ-મહાત્માઓ નો સત્સંગ “બુદ્ધિ” ને અત્યંત વધારનાર છે,અને આધિઓને દૂર કરનાર છે. સત્સંગ થી “વિવેક-રૂપી” ઉત્તમ દીપક પ્રગટે છે અને સર્વોત્તમ વિશ્રાંતિ આપે છે.
જેમ દરિદ્ર મનુષ્યને મણિ (રત્ન) દેખાય તો તે પ્રયત્ન કરીને તેને જોયા કરે છે, તેમ, સમજુ મનુષ્ય વિશ્રાંતિ પામેલા મહાત્માઓ ને પરમ પ્રયત્ન થી જોયા કરવા જોઈએ. અને સંશયો (અધ્યાસ) થી રહિત થયેલા બ્રહ્મ-પદને જાણનારા,તેવા મહાત્માઓ ને સર્વ ઉપાયથી, સેવવા (સત્સંગ કરવો) જોઈએ, કારણ કે તેઓ સંસાર-સમુદ્રમાં તરવાના “સાધનો-રૂપ” છે.
આ રીતે અત્યાર સુધી બતાવ્યા મુજબ
શમ-વિચાર-સંતોષ-અને-સત્સંગ” એ સંસાર-રૂપી સમુદ્ર ને તરવાના ઉપાયો બતાવ્યા. (૧) “શમ” એ પરમ-સુખ છે, (૨) "વિચાર" એ પરમ-જ્ઞાન છે, (૩) "સંતોષ” એ પરમ-લાભ છે, અને (૪) “સત્સંગ” એ પરમ-ગતિ છે.
આ ચાર –શમ-વિચાર-સંતોષ-સત્સંગ-એ સંસાર ને ભેદવાના નિર્મળ ઉપાયો છે. જેમણે એનો અભ્યાસ કર્યો હોય છે, તેઓ “મોહ-રૂપી-સંસાર-સમુદ્ર” ને તરી ગયા છે એમ સમજવું. હે, રામ,આ ચારમાંથી જો એક નો પણ અભ્યાસ થાય તો-ચારે નો અભ્યાસ થઇ જાય છે. ચારમાં નો એક પણ ચારે ને ઉત્પન્ન કરનાર થાય છે, માટે મનુષ્ય એ ચાર ને સિદ્ધ કરવા સારું, યત્ન-પૂર્વક એક નો તો અવશ્ય આશ્રય કે અભ્યાસ કરવો જોઈએ.