________________
વેદ-વ્યાસ (વ્યાસજી) શુકદેવજી ના પિતા,ગુરૂ, સર્વજ્ઞ અને મહાબુદ્ધિમાન છે, તો તે કેમ વિદેહમુક્ત ના થયા અને તેમના પુત્ર શુકદેવજી કેમ વિદેહમુક્ત થયા? વશિષ્ઠ બોલ્યા-પરમાત્મા ના ચૈતન્ય-પ્રકાશ ની અંદર,અનંત-કોટિ બ્રહ્માંડો, દેખાઈ દેખાઈ ને લીન થઇ ગયા છે. આ ચૈતન્ય-પ્રકાશમાં જે કરોડો બ્રહ્માંડો,છે તેની કેટલી સંખ્યા છે તે ગણી શકતી નથી,અને કેટલી વાર તે લીન થયા અને તે કેટલી વાર પેદા થયા ? તેની સંખ્યા ગણવાની વાત પણ થઇ શકે તેમ નથી. તેમ વ્યાસજી પણ અસંખ્યવાર પેદા થયા છે)
શ્રીરામ કહે છે કે ભૂતકાળનાં અને ભવિષ્યકાળ નાં બ્રહ્માંડો આગળ, વર્તમાનકાળનાં બ્રહ્માંડો ની ગણત્રી,વ્યર્થ શા માટે કરવી? પણ આપે જ આ બ્રહ્માંડો ના અધિષ્ઠાન-રૂપ એક “આત્મ-તત્વ” દેખાડ્યું તે મારી સમજમાં આવ્યું ખરું.
વશિષ્ઠ કહે છે કે “પશુ,પક્ષી, મનુષ્ય અને દેવ” વગેરે “પ્રાણી ઓ માં જે પ્રાણી, જયારે (જે સમયમાં) અને જે પ્રદેશમાં,મરી જાય છે, તે જ સમયમાં અને તે પ્રદેશમાં આ બ્રહ્માંડો ને દેખે છે,બીજા સમય (કાળ) કે પ્રદેશમાં નહિ. “આતિવાહિક નામના “ચિત્ત-રૂપી” “લિંગ શરીર”માં પોતાની અંદર રહેલા “સૂક્ષ્મ આકાશ” ને લીધે જ, જીવ,વાસનામય બ્રહ્માંડ ને દેખે છે.અને વાસના ને લીધે જ અનુક્રમથી પ્રાપ્ત થતાં, તે તે શરીરો નો અનુભવ કરે છે, બાકી વાસ્તવિક રીતે આત્મા તો નિર્લેપ ને વિકારરહિત છે. (જન્મ-મરણ નો વિકાર આત્મા ને નથી)
કરોડો પ્રાણીઓ મરી ગયાં છે,મરે છે અને મરી જશે.અને, મરવાના સમયે, દય-પદાર્થો (સંસાર) જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસના ને અનુસરી ને પાછા જુદા જુદા કાળે જુદા પ્રદેશમાં પ્રગટ થાય છે. જગતની (સંસાર ની) આ પરંપરા,અને સંસાર એ એક સ્વપ્ન અને સ્વપ્નમાં દેખાતી નગરી જેવી છે. જેમ સ્વપ્ન અને સ્વપ્ન ની નગરી સાચી નથી તેમ આ સંસાર અને તેની પરંપરા પણ સાચી નથી.
આ પ્રમાણે મરેલાં તથા જન્મેલાં,પ્રાણીઓ પોતાના મનથી (મનમાં જ) જગતને જોયા કરે છે, અને તેના સાથેના ઘણા નજદીક ના પરિચય ને કારણે,હૃદયાકાશ માં જગત ની છાપ પડી જાય છે. અને બહારનું જગત સાચું હોય તેમ જ તેને લાગવા માંડે છે. એ હૃદયાકાશમાં જ –તે જન્મનો,જન્મ પછીની અનેક ક્રિયાઓનો,અને મરણ વગેરે નો અનુભવ થાય છે. તેજ રીતે મરણ પછી તે જ હ્રદયાકાશમાં પછી (વાસના-મુજબ) પરલોક ની કલ્પના થવા માંડે છે.
જેવી રીતે કેળના થડને ઉખેડતાં,એક પછી એક –એમ અનેક પડ જોવામાં આવે છે, તેવી રીતે, એક વાસના-મય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવા મળે છે, એટલું પૂરતું ના હોય તેમ, બીજાના વાસનામય દેહો પણ જોવામાં આવે છે. મરેલા જીવો ને પંચમહાભૂત (પૃથ્વી-વગેરે) સાથે કે તેના ગુણો સાથે કંઈ પણ સંબંધ નથી, તો પણ ભ્રાંતિ થી તેમને વિષે “એ” (મરેલા જીવોને જીવતા) જોવામાં આવે છે.
આ “અવિદ્યા (માયા) રૂપી” નદી અપાર છે અને અનેક ફાંટાઓમાં તે વહે છે, અને તેમાં અનેક “દેહો-રૂપી” મોજાં છે, મૂઢ (મૂર્ખ) પુરુષો તેને તરી શકતા નથી.
હે.રામ,”પરમાત્મા-રૂપ” મોટા સમુદ્રમાં પણ આવાં જ (દેહ-રૂપી) મોજાં (તરંગો) વારંવાર,અને બીજા પણ અનેક અને ઘણા “દેહો-રૂપી” તરંગો ઉડ્યા કરે છે.