________________
141.
તારી સાથે સમાગમ થયો.આવી રીતે તારી દૃષ્ટિ માં તારો પતિ આવ્યો અને પતિ ની દ્રષ્ટિમાં તું આવી. સરસ્વતી લીલા ને કહે છે કે-ચૈતન્ય-રૂપી આત્મા સર્વ ઠેકાણે રહેલો છે,તેથી તું પણ આત્મા માં રહી છે.અને આત્મા તારામાં રહેલો છે. અને જે સ્થળે જેવી રીતે તેનું ધ્યાન કરવામાં આવે છે તેવી રીતે,તે જોવામાં આવે છે. તેવી જ રીતે સર્વ ઠેકાણે સર્વ શક્તિ રહેલી છે અને જે ઠેકાણે જેવી શક્તિનો અવિર્ભાવ કરવામાં આવે છે, તે ઠેકાણે તેવી શક્તિ દૃઢ અભિનિવેશ-રૂપી વાસના ના કારણથી રહે છે.
આ કારણથી બંને દંપતી -જે ક્ષણે મૂર્જી ની સ્થિતિ માં હતા તે જ ક્ષણે તેમને વાસનાનું જ્ઞાન થયું. અને તેમને પોતાની કલ્પના થી એવો અનુભવ થયો કે આપણા બંને ના "આ "માતા-પિતા-દેશ-ધન વગેરે છે. આપણે પૂર્વે અમુક જાતનું કર્મ કર્યું જેથી આપણો વિવાહ થયો -આપણે એક પણા ને પામ્યા. અને આમ થતા "આ જન-સમૂહ સાચો છે" એવી પ્રતીતિ થઇ.
હવે સ્વપ્નમાં જોવામાં આવે છે તેમ તે બધું તેમના પ્રત્યક્ષ જોવામાં આવ્યું.પછી લીલા (બીજી) લીલાએ "હું વિધવા ના થાઉં" એવું વરદાન માગ્યું. મેં તેને એ વરદાન આપ્યું. એટલે તે પતિની પહેલાં જ મરણ પામી. તમે બધાં ચૈતન્ય ના અંશ-રૂપ છો.હું ચૈતન્ય ના ધર્મ-વાળી છું-કુલ-દેવી છું, અને મારી મેળે બધું કરું છું.
પછી પ્રાણવાયુને ધારણ કરનારો અને મન વડે ચલાયમાન થયેલો લીલાદેવી (બીજી) જીવ -તેના દેહમાંથી મુખ ના અગ્રભાગ પાસેથી બહાર નીકળ્યો. હવે મૂર્છા (મરણ) ને અંતે-તે જ ઘરમાં લીલાદેવી (બીજી) એ પોતાની બુધ્ધિના સંકલ્પ થી "આકાશ"માં પોતાનો દેહ દીઠો.અને તેને પોતાના પૂર્વ દેહનું સ્મરણ થવાથી પદ્મરાજા ના બ્રહ્માંડ-મંડળ ની વચ્ચે જઈને "સ્વપ્ન ના મધ્ય સમય" ની જેમ પોતાના પતિને મળશે.
(૫૩) લીલા નો માર્ગ-પતિની પ્રાપ્તિ અને અજ્ઞાનથી આકાશગમનમાં પ્રતિબંધ.
વશિષ્ઠ કહે છે કે આમ વરદાન પામેલી તે લીલા પોતાના વાસના-રૂપ દેહથી જ પતિને મળવા - તેના ભુવન બાજુ જવા લાગી.અને આ પ્રમાણે - સ્મરણથી દેહ પ્રાપ્ત થવાથી તે આનંદ માં આવી ગઈ. તેવામાં સરસ્વતીએ પ્રેરણા કરેલી અને પોતાના "સંકલ્પ-રૂપ"અરીસાથી જાણે આગળ ગયેલી હોય તેવી એક કુમારી (સરસ્વતી નો સંકલ્પ) તેની (લીલાની) પાસે આવી પહોંચી.
લીલા કહે છે-હે સરસ્વતી ની સખી, તમે ભલે આવ્યાં,હું તમારી દીકરી છું અને આકાશમાર્ગે તમારી વાટ જોઉં છું. તમે મને મારા પતિની પાસે તેડી જાઓ.(આમ તો લીલા ક્યાંય ગયા વિના -સરસ્વતી ની પાસે જ રહેલી છે અને ત્યાં સંકલ્પ થી પતિની પાસે જવાની કલ્પના કરી છે એમ માનવા થી સમજવામાં સહેલું પડે??). કુમારિકા (સરસ્વતી નો સંકલ્પ) માર્ગ બતાવે છે અને અનેક બ્રહ્માંડો પસાર કરીને બ્રહ્મા-વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવો ના પ્રકાશવાળા લોક નું ઉલ્લંઘન કરીને આકાશ-માર્ગ ની નીચે પદ્મરાજાના મંડળ ને પ્રાપ્ત થઇ.
ત્યાં નગરમાં આવીને તે મંડપમાં પેઠી અને પુષ્પ થી રક્ષિત થયેલા પોતાના પતિ ના શબ (પદ્મરાજા) ની પાસે આવીને ઉભી.એટલામાં તો માયા જેવી જણાયેલી તે સાથે આવેલી કુમારિકા અલોપ થઇ ગઈ. ત્યાર પછી શબ-રૂપે (અહીં પદ્મરાજા) રહેલા પોતાના પતિ નું મુખ જોઈને-પોતાના તર્ક થી વિચારે છે કેસિંધુરાજ ના હાથે રણ-સંગ્રામ માં મારા પતિ હણાયા છે ને વીર-લોકને પામીને-ક્ષણમાત્ર સુખથી નિંદ્રા કરે છે. દેવીના પ્રસાદ થી હું શરીર સહિત આવી રીતે આ સ્થળે આવી છું, મારા જેવી કોઈ ભાગ્યશાળી નથી. આ પ્રમાણે વિચાર કરીને તેણે ચમર હાથમાં લીધું અને પતિ ને પવન નાખવા લાગી.
જ્ઞાની (પહેલી) લીલા સરસ્વતી ને પૂછે છે કેહે દેવી,હવે તે ચાકરો.દાસીઓ અને રાજા કઈ બુદ્ધિ થી કેવી રીતે બોલશે?