________________
135
તેમ,આ પ્રપંચ મિથ્યા છતાં-પણ આસક્તિથી મોહિત કરે છે.
જે અધિષ્ઠાન "ચૈતન્ય" છે તે જ વાસ્તવિક રીતે સાચું છે. જે દેહની અંદર તથા બહાર સર્વ પ્રદેશોમાં ભરપૂર રહેલું છે, તે ચૈતન્ય-"માયા-શક્તિ" ને લીધે, જેવી રીતે પોતાનું "સ્કરણ" કરવા ધારે છે, તેવી જ રીતે પોતાને સ્ફલું જુએ છે.
જેમ,ભંડાર માં સર્વ પ્રકારનું ધન હોય છે ને તે ધનને જોનાર માણસ ને તે ધન જોવામાં આવે છે, તેમ,ચિદાકાશ માં સઘળો પ્રપંચ છે,અને તે ચિદાકાશના જોવામાં આવે છે. હે રામ,સરસ્વતીદેવીએ વિદુરથ ને બોધ-રૂપી અમૃતનું સિંચન કરીને વિવેકના સુંદર અંકુર-વાળો કરીને તેને નીચે પ્રમાણે કહ્યું.
સરસ્વતી કહે છે કે આ સઘળી વાત મેં લીલા ને રાજી કરવા સારું કહી છે, તમારું કલ્યાણ હો, હવે અમે અહીંથી જઈએ છીએ.જે કંઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે. વિદુરથ કહે છે કે-હે, દેવી,તમે તો મોટા ફળ દેનારા છે, અને તમારું દર્શન નિષ્ફળ જતું નથી. તેથી,હું જેમ એક સ્વપ્ન માંથી બીજા સ્વપ્ન માં જાઉં છું, તેમ આ દેહને છોડીને મારા પહેલાં ના સંસારમાં આવું તેવી કૃપા કરો હે,વરદા,ભક્ત નો અનાદર કરવો એ મહાત્માઓને શોભે નહિ જ,માટે હું જે પ્રદેશમાં આવું તે જ પ્રદેશમાં મારો આ મંત્રી અને મારી બાળક કુંવરી પણ આવે તેવી મારા પર દયા કરો.
સરસ્વતી કહે છે કે-હે, પૂર્વજન્મ ના પદ્મરાજ, ત્યાં આવજે અને નિઃશંક થઈને યોગ્ય પદાર્થો થી, તથા યોગ્ય વિલાસોથી સુંદરતા વાળું રાજ્ય કરજે.
(૪૩) વિદરથ ને વરપ્રદાન -સૈન્ય નું આક્રમણ ને નગરને સળગવું
સરસ્વતી કહે છે કે હે, રાજન,આ મોટા સંગ્રામમાં તમારે હમણાં મરવું પડશે,અને પછી તને પૂર્વનું રાજ્ય મળશે. એ સઘળું તારા પ્રત્યક્ષ જોવામાં આવશે, તું, તારી દીકરી અને તારો મંત્રી,એ સર્વ પૂર્વના નગરમાં "મનોમય" દેહથી આવશો,અને ત્યારે તું તારા શબ-રૂપ થયેલા (પદ્મ રાજાના) શરીરને પ્રાપ્ત થઈશ. રાજા,સ્થૂળ દેહ અને મનોમય દેહ ની ગતિ પણ જુદી જુદી હોય છે,હવે અમે અહીંથી જઈએ છીએ.
વશિષ્ઠ કહે છે કે આ પ્રમાણે બંને ની વાતચીત ચાલતી હતી તે જ વખતે,નગરનો ચોકીદાર કે જેને, નગરના સહુથી ઉંચા સ્થળે શત્રુઓ ની હિલચાલ જોવા માટે ઉભો રાખેલો હતો,તે દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે-હે, રાજા,શત્રુ નું સૈન્ય,અહીં,બાણો,ચક્રો,ગદાઓથી સજ્જ થઈને ધસી આવ્યું છે આ પહાડ જેવા આપણા નગરની ચારે બાજુ અગ્નિ લાગી ચુક્યો છે, અને તે અગ્નિ ઘરોને સળગાવી દઈને તેને પાડી દે છે.
વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે એ પુરુષ ગભરાટથી બોલતો હતો,તેટલામાં જ બહાર કઠોર શબ્દવાળો અને દિશાઓ ભરાઈ જાય તેવો મોટો કોલાહલ ઉઠયો,બાણો ની વૃષ્ટિ કરતા ધનુષ્ય ના પ્રબળ ટંકાર સંભળાવા લાગ્યા.મદોન્મત હાથીઓ ગર્જના કરવા લાગ્યા અને ઘર -વગેરે ને બાળી નાખતા અગ્નિઓના ભારે ફડાકા થવા લાગ્યા.જેમની સ્ત્રીઓ,બાળકો બળી જતા હતા તે નગરજનો મોટો હાહાકાર કરવા લાગ્યા .
એ સમયે,લીલા,સરસ્વતી,વિદુરથ અને તેના મંત્રીએ ગોખમાંથી જોયું,તો મધ્યરાત્રિ નો સમય હતો, નગરમાં મોટો હાહાકાર વ્યાપી રહ્યો હતો, અને શત્રુ નું સૈન્ય ચારે બાજુ વ્યાપી રહ્યું હતું. આકાશને પુરી દેતી મોતી જવાળાઓથી આખું નગર બળવા લાગ્યું હતું.ઘણા યોદ્ધા ઓ કપાઈ ગયા હતા.