________________
સાધક સહચરી એટલે... જૈન આગમોમાંથી તારવેલું નવનીત
સ્થાનકવાસી જૈન પરંપરા પ્રમાણે વર્તમાનકાળ ૩ર આગમ માન્ય છે. તેમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂયગડાંગ વગેરે શાસ્ત્રોમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાંથી ય રત્ન જેવી અમૂલ્ય ગાથાઓ તારવીને વિદ્વદૂવર્ય શ્રી સંતબાલજીએ શુદ્ધ માખણ આપણને આપ્યું છે.
બધા આગમો વાંચવાની જેમને અનુકૂળતા ન હોય અથવા જેમની પાસે સમય ન હોય તેમણે “શોર્ટ ઍન્ડ સ્વીટ’ એવી આ પુસ્તિકા શાંતિથી વાંચવી જોઈએ.
આમ તો આમાં દરેક વિષયોની ગાથાઓ તથા તેનો ગુજરાતી પદ્યાનુવાદ ઘણો જ ઉપયોગી છે. સાધક આત્માઓ પ્રતિદિન એનો સ્વાધ્યાય કરે, તેના ઉપર ચિંતન, મનન કરે તો અવશ્ય આત્મશ્રેય સાધી શકે.
અર્ધમાગધી ભાષા જેમને ન આવડતી હોય તેમના માટે ગુજરાતી પદ્ય ઘણા પ્રેરક બનશે. એને કંઠસ્થ કરી લેવાથી સ્વાધ્યાય કરવામાં ઘણી અનુકૂળતા રહે.
ધર્મપ્રેમી શ્રી મગનભાઈ હરિભાઈ દોશી, શ્રી રામજીભાઈ ડાહ્યાભાઈ ગાલા અને શ્રી જયંતીલાલ સુખલાલ મહેતા એમ ત્રણે ભાઈઓ આવા જ્ઞાનવર્ધક પુસ્તિકાની પુનરાવૃત્તિ કરાવી રહ્યા છે તે તેમની જ્ઞાનરુચિ સૂચવે છે. સહુ સાધકો આમાંથી સારી પ્રેરણા મેળવે એવી શુભ ભાવના સાથે. સુષુ કિં બહુના?
- મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી