SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિઃસ્પૃહાષ્ટક - ૧૨ ૩૬૫ શબ્દથી રાજા કે ઈન્દ્રપણાનું જે સુખ છે તે ગત્વરશીલ છે (જવા વાળું છે), ઔપાધિક છે (પરદ્રવ્ય દ્વારા છે, સહજ નથી), તથા ઘણી ઘણી ઉપાધિઓવાળું છે, ચિંતાઓવાળું અને બોજાવાળું છે. માટે તે સુખ કરતાં મુનિનું સુખ ઘણું અધિક છે. કારણ કે મુનિનું સુખ પોતાના સ્વરૂપથી જન્ય છે, સ્વાભાવિક છે, અનશ્વરશીલ છે અને પરમાનન્દના સુખોથી ભરપૂર ભરેલું છે. આ કારણથી ઈન્દ્રિયજન્ય જે સુખ છે અને આત્માના ગુણોનું જે સુખ છે તે બન્ને સુખની વચ્ચે ઘણો જાતિભેદ જ છે. દૃષ્ટિનું પરાવર્તન કરીએ તો જરૂર આ વાત સમજાય તેવી છે. વ્યભિચારી પુરુષને પરપત્નીના ભોગમાં આનંદ-સુખ લાગે છે. તે ભાવિમાં આવનારી આપત્તિને જોતો નથી. તેની દૃષ્ટિ તેવા કાર્યમાં બંધાયેલી છે. જ્યારે સ્વદારા સંતોષીને પરપત્નીના ભોગની વાત તો દૂર રહો, પણ કદાચ માત્ર દૃષ્ટિપાત થઈ જાય તો પણ ઘણું જ દુ:ખ થાય છે. કારણ કે જીવ આ કાર્યને મહાપાપ, અનર્થમૂલક અને અતિશય દુ:ખદાયી સમજે છે. તેમ અહીં પણ પરભાવદશામાં આનંદી બનેલા જીવને જ ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ લાગે છે, તેને ભાવિની આપત્તિઓ દેખાતી નથી અને સ્વભાવદશામાં મગ્ન બનેલા આત્માને ઈન્દ્રિયોનું સુખ એ પાપબંધનું સ્થાન, મહાપાપ અને અનર્થમૂલક લાગે છે. માટે જ રાજપાટ છોડી, પરિવારનો ત્યાગ કરી વૈરાગી આત્માઓ સાધુજીવન સ્વીકારે છે. બન્નેની દૃષ્ટિમાં મોટો તફાવત છે. એટલે કે આ બન્ને સુખોમાં જાતિભેદ છે. इन्द्रियजे सुखे सुखत्वमारोपितमेव, न च पुद्गलस्कन्धे तु सुखं सुखहेतुत्वञ्च । आत्मन्येवाछिन्नसुखपरम्परा, सुखस्य कर्तृत्वादिकारकषट्कमात्मन्येव अतो वास्तवं सुखं जिनाज्ञानिगृहीतपरभावस्य निःस्पृहमुनेरेव, अतो नि:स्पृहस्य महदिन्द्रियागोचरं स्वाभाविकं सुखमिति ॥७॥ ઈન્દ્રિયજન્ય સુખમાં સુખપણું આરોપિત છે. કલ્પનામાત્રથી કલ્પાયેલું છે, પરાધીન છે, વાસ્તવિક સુખ નથી. કારણ કે પુદ્ગલના સ્કંધોમાં સુખ કે સુખની કારણતા નથી. મોહથી તેમાં સુખબુદ્ધિ થાય છે. રાગના કારણે ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ લાગે છે. બાકી પુદ્ગલ એ પરદ્રવ્ય હોવાથી તે સુખમાં પરાધીનતા-ઉપાધિભૂતતા અને પરિણામે દુઃખદાયિતા રહેલી છે. જ્યારે આત્મતત્ત્વના ગુણોની રમણતામાં જ અખંડ સુખની પરંપરા સમાયેલી છે તથા તે સુખ સ્વાધીન છે. બાહ્ય કોઈ ઉપાધિ નહીં. ક્યારેય નાશ પામે નહીં અને પરિણામે પણ વાસ્તવિક સુખદાયિતા તેમાં જ રહેલી છે. વળી કર્તૃત્વ-કર્મત્વ-કરણત્વ-સંપ્રદાનત્વઅપાદાનત્વ અને અધિકરણત્વ આ છએ આત્માનાં કારકચક્ર આત્માના સુખમાં જ છે. કોઈ પરદ્રવ્યનો સંબંધ નહીં.
SR No.007777
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size82 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy