________________
પ્રસ્તાવના
આજથી થોડાં વર્ષો પૂર્વે મારા પૂ.સસરાજી શ્રી સી.કે.મહેતાએ તેમની દરેક પુત્રવધુઓને રૂ.૧ લાખ આપીને તેને કોઈપણ શુભ કાર્યમાં વાવવા માટે તાકીદ કરી. આ રીતે તેઓને દાનક્ષેત્રમાં અમારી રસરુચિ સૌથી વધુ શેમાં છે તે જાણવું હતું. હું તે સમયે અમારા મોટા પુત્ર ચિ.મૌલિક માટે સુકન્યાની શોધમાં હતી એટલે તે કવર કબાટમાં રાખીને પછી તે કાર્યવિસ્મરાઈ ગયું.
નવેમ્બર ૨૦૧૨માં પરિણય પછી ચિ.રિદ્ધિ અમારા ઘરે પુત્રવધુ બનીને આવી. જૈનકુળમાં જન્મ ન થયો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે એ જૈન સંસ્કૃતિ, સાહિત્ય કે ક્રિયાઓની અને તેની પાછળનાં રહસ્યભૂત કારણોથી અજાણ હોય. થોડા વખત પછી જ્યારે ઘરની સંસ્કારલઢણ મુજબ પર્યુષણા મહાપર્વમાં ચતુદર્શી અને સાંવત્સરિક પ્રતિક્રમણ સહુએ સાથે કરવાનો સમય આવવાનો હતો, તે પહેલાંથી જ ગણધરરચિત આપણાં સૂત્રોનો અનુવાદ અંગ્રેજીમાં શોધવાનો અને એ રીતે ચિ.રિદ્ધિ સાથે અમારા બંને પુત્રો ચિ.મૌલિક તથા ચિ.મેઘવને પણ આ મહાન વૈજ્ઞાનિક વિધિનો અર્થ સમજાય અને અહોભાવ વધે તે માટેનો પુરુષાર્થ મેં આદર્યો. અને સમયાંતરે તેમાંથી જ ઉદ્ભવ્યો એક વિચાર કે આપણાં સંવત્સરી પ્રતિક્રમણ સૂત્રોને ગુજરાતી અને હિન્દીમાં ભાવાર્થ સાથે હું જ કેમ પ્રકાશિત ન કરી શકું ? અને તરત સ્મરણમાં આવ્યું પૂ. ડેડીએ આપેલું પેલું કાર્ય ! મને જ્ઞાનયોગમાં રસરુચિ છે તેને પુષ્ટિ પણ મળશે તે વિચારે ૩-૪ મહિનામાં પૂરું થઈ જશે તેવા આશયથી શરૂ કરેલાં આ કાર્યને સંપન્ન થતાં એક વર્ષ થઈ ગયું. પ્રુફ રિડીંગ થકી જેમ જેમ હું સૂત્રાર્થનું સંશોધન કરતી ગઈ તેમ તેમ એ સૂત્રોમાં હું વધુ ઓતપ્રોત થવા માંડી. જૈન ધર્મ વિશેની સમજણ વધુ ઊંડી થતાં તેનાં પ્રત્યેનો અહોભાવ વધ્યો. વળી સ્વપ્નમાં રાચવા લાગી કે જે કોઈ આ પુસ્તકનો લાભ લઈ સૂત્રાર્થ સમજશે તેઓ પણ આ સૂત્રો માટે મારી જેમ જ ગર્વ અનુભવશે.
એક સાવ બિનઅનુભવી પરંતુ કુતુહલતાથી આતુર મન લઈને કાર્ય કરવા નીકળી પડેલી મને સૌ પ્રથમ મારા પૂ.સાસુ કાંતાબહેનનાં આંતર આશીર્વાદ મળ્યાં. મુજ જીવનસખા દીપકનાં અનન્ય સહકાર વિના તો આ કાર્ય અશક્ય જ હતું. પરિવાર સમસ્ત આ કાર્યમાં જોડાયો તેનું મને ખૂબ ગૌરવ છે. અઝરાએ