________________
ગ્રંથિભેદની પ્રક્રિયા
કર્મબંધના મુખ્ય હેતુ રાગ અને દ્વેષ છે. એ બેઉ મોહનીય અવસ્થાઓ છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અનંતાનુબંધી કષાય ચતુષ્ક (અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ)થી ઊભા થયેલા રાગ અને દ્વેષની ગ્રંથિ (ગાંઠ) ખૂબ જ કર્કશ, મજબૂત અને દુર્ભેદ્ય હોય છે. આ ગ્રંથિ જ સમ્યગ્દર્શનની બાધક હોય છે. આમ રાગદ્વેષનું જે આત્મ પરિણામ એ જ કર્મગ્રંથિ છે-મોહનીય નામના એક ઘાતી કર્મમાંથી જન્મેલો અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મ એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સહાયને મેળવી ચૂકેલો એ ગાઢ રાગ-દ્વેષનું પરિણામ તે અત્યંત દુર્ભેદ્ય હોય છે.
આત્મા પોતે વિકાસ કરતા અને તીવ્રતમ રાગદ્વેષને થોડા મંદ કરતા જ્યારે મોહની પ્રથમ શક્તિને છિન્ન-ભિન્ન કરવાની શક્તિ પોતાનામાં આવી જાય છે, ત્યારે આવી સ્થિતિને કર્મશાસ્ત્રમાં “ગ્રંથિભેદ” કહેવાય છે.
ગ્રંથિભેદ કરવું એ એક પ્રકારનું આધ્યાત્મિક યુદ્ધ કરવા યોગ્ય છે. આ યુદ્ધમાં એક તરફ રાગ-દ્વેષ હોય છે અને બીજી તરફ વિકાસોન્મુખ આત્મા પોતાના વીર્યબલ જોડે. આ યુદ્ધમાં કોઈકવાર રાગ-દ્વેષની જીત થાય છે અને કોઈકવાર આત્માના બળની.
કર્મગ્રંથિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રંથિને ભેદનારો જે અપૂર્વકરણ નામનો અધ્યવસાય હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ જ હોય છે. એટલે કે પરિણામ દ્વારા જ પરિણામને ભેદવાની વાત છે.
અહીં ત્રણ ચીજ નક્કી થાય છે.
પહેલી વાત એ કે કર્મગ્રંથિરૂપે આત્માના એક પ્રકારના પરિણામને આત્માના જ અન્ય પ્રકારના પરિણામ જ ભેદી શકે છે.
બીજી વાત એ કે આત્માના જે પરિણામથી કર્મગ્રંથિરૂપી પરિણામને ભેદવાનું છે તે પરિણામ તદ્દન વિપરીત પ્રકારનું હોવું જોઈએ. અને ત્રીજી વાત એ કે કર્મગ્રંથિરૂપી આત્મ પરિણામ જેટલું તીવ્ર હોય તેના કરતાં પણ એ આત્મપરિણામને ભેદનારું જે પરિણામ હોય તે વધારે તીવ્ર હોવું જોઈએ.
૧૧ ૨
સમકિત