________________
જીવનની અનેક ચમત્કારપૂર્ણ ઘટનાઓ જાણવા મળે છે. અલબત્ત, મહાન યોગીઓનાં જીવનમાં આવા ચમત્કારો અસંભવિત નથી. ૭૧ વર્ષની ઉંમર પછી તેઓશ્રીએ અનશન તપ ધારણ કરી, સંલેખનાપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું.
આવા વિલક્ષણ મહાપુરુષ દ્વારા રચાયેલ ગ્રંથ ‘ઇષ્ટોપદેશ'ને આત્મકલ્યાણના આ વિશિષ્ટ અવસરે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત સંકલન તૈયાર કરવા માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તથા શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત ‘ઇષ્ટોપદેશ’ ગ્રંથનો આધાર લેવામાં આવ્યો છે, જે અર્થે પ્રકાશક સંસ્થાઓ તેમજ અનુવાદક મહાનુભાવોના ઋણનો સ્વીકાર કરીએ છીએ. આ ગ્રંથ પ્રગટ કરવાના સત્કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર શ્રીમતી સ્મિતાબેન કોઠારી, કુમારી રીમા પરીખ, શ્રીમતી લીનાબેન ગાલા, ડૉ. અતુલભાઈ શાહ, શ્રી પ્રમેશભાઈ શાહ આદિ સર્વ મુમુક્ષુઓને અત્રે અંતઃકરણપૂર્વક ધન્યવાદ પાઠવીએ છીએ.
‘સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો.' (પત્રાંક-૭૬૪) સ્વરૂપસંશોધન દ્વારા સ્વહિતના કાર્યમાં સાવધ કરનાર આસાધકોપકારી ગ્રંથનું ભાવપૂર્વક અધ્યયન તથા તજ્જન્ય બોધની સૂક્ષ્મ વિચારણા આત્માને અંતર્મુખતા, ભેદજ્ઞાન અને આત્માનુભૂતિથી આલોકિત કરશે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષ વાણીનો યથાર્થ લાભ લઈ સહુ આત્માર્થા જીવો અધ્યાત્મસાધનામાં આગળ વધી ઇષ્ટની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના.
‘સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.'
પર્યુષણ પર્વ,
વિ.સં. ૨૦૫૮
તા. ૩-૯-૨૦૦૨
વિનીત ટ્રસ્ટીગણ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર,
મુંબઈ