________________
નિંદીશ્વર દ્વીપની યાત્રાએ ભાવાર્થ :ખેચરરાય સુરસુંદરીને પોતાનો પરિચય આપે છે.
હે બહેન! આ જંબુદ્વીપના વૈતાઢય પર્વત ઉપર ઉત્તરશ્રેણી નામનો સેંદર્યથી મઢેલો દેશ છે. ત્યાં દેવો અને વિદ્યાધરો રહી શકે છે. અમારી સહાય વગર મનુષ્યો ત્યાં જઈ શકતાં નથી. વિદ્યાધરોનો અધિપતિ મણિશંખ નામે રાજા રાજય કરે છે. મનને આનંદ આપનાર હે બેનડી! મારી સારી અને શુભ વાતને સાંભળ! વળી આ રાજાને લાવણ્યની લીલાના ધામ સરખી, ગુણવતી અને શીલવતી હેમચુલા નામે પટ્ટરાણી છે. તેમનો પુત્ર હું રત્ન જટી નામે રહેલો, તારી સાથે વાત કરી રહયો છું. આ સંસાર ને અસાર જાણીને માતાપિતાએ મને રાજય સોંપીને પાવનકારી, મોક્ષદાયિની એવી પ્રવજયાને અંગીકાર કરી છે. તેઓ પોતાના આત્માનું કલ્યાણ કરી રહયા છે. નંદીશ્વર દ્વીપે પિતામુનિ દુષ્કર તપ કરી, દેહને દમી રહયા છે. સમતા રુપ વાયુ વડે, અનાદિકાળથી આત્મા ઉપર લાગેલા મિથ્યાત્વના પડલોને હટાવી રહયા છે.
નંદીશ્વર દ્વીપે શાશ્વતા જિનાલયો છે, જેમાં અંજનગિરિ ઉપર ચાર, દધિમુખ પર્વત ઉપર સોળ,અને રતિકર નામના પર્વત ઉપર બત્રીસ, કુલ બાવન જિનાલય થાય છે. એક જિનાલયમાં શાશ્વત જિન ચૌમુખથી રહેલા છે. વળી તે જિનાલય સો જોજન લાંબા, પચાસ જોજન પહોળા અને બોત્તેર જોજન ઊંચા છે. ચારે દિશાના જિન મંદિરોમાં ગણત્રી કરતાં ૬૪૪૮ કુલ શાશ્વતી પ્રતિમા રહેલી છે. સઘળીયે પ્રતિમાને વંદન કરતા દુઃખ વિસરી જવાય છે. દર્શન પૂજા કરતાં સઘળાં પાપો નષ્ટ થાય છે. તે ભગિનિ! હું તે નંદિશ્વર દ્વીપે ગયો હતો. એ સઘળી જિનપ્રતિમાની પૂજા કરી. ત્યાર બાદ ત્યાં રહેલા પિતામુનિના દર્શન કર્યા હતા. વંદન કર્યા. એ દર્શન પૂજન વંદન કરતાં મને ઘણો જ આનંદ થયો. જાણે ત્રણ ભુવનનું રાજય ન મેળવ્યું હોય એટલો આનંદ થયો. ત્યાંથી પાછો વળતાં મારા રાજય તરફ જઈ રહ્યો હતો. ત્યાં તમે બહેન રુપે મળ્યા. આજ મારા પુણ્ય સઘળા ફળ્યા છે, જે મુજ ભાગ્ય થકી તમે મને મળ્યા. મને તમારો પ્રિયબંધુ માનજો. અંતરંગ સહાનુભૂતિ મળતાં સુરસુંદરીને ત્યાં હર્ષના આંસુ સરી પડયાં રત્નજી વળી કહે છે, બહેન - હવે મારા ઘરે ચાલ. તારી કરુણ કહાની સાંભળીને મારા હૃદયમાં વધુ કરુણા તારા તરફ ઉત્પન્ન થઇ છે. હવે તને કયાંયે જવા નહિ દઉં. હું મારા પિતાને એકજ છું. મારે પણ બેન નથી. ભાગ્યવશે તું મને સાંપડી છે. મારા ઘરે મોટા મોટા રાજાની પુત્રીઓ ચાર તે મારી સ્ત્રીઓ રહેલી છે. તે ચારેય રમણીઓ રુપે રંગે રસભરી રહેલી છે. તે જોતાં આનંદ થશે. તે ચારેય આનંદ પ્રમોદ કરતી મારા ઉપર સરખી પ્રેમદષ્ટિ રાખી રહી છે. તેમની રોજ ફરિયાદ છે, તમારી બેનને લઇ આવોને હું કહેતો, અવસર આવે લઈ આવીશ. રોજ બેનના નામની માળા જપતી. વળી કહેતી હતી કે જલ્દી લાવોને. અમારે નણંદીના આણાની હોંશ છે. અમારે નણંદબાની સેવા કરવી છે. આવી રીતે મારી પત્નીઓની ભાવના છે. તો હવે મારા ઘરને વિષે ચાલ. હું તારું આણું કરિયાવર મોટો કરીશ. તને કહું છું કે આપણે એક ઉદરથી જન્મ્યા. એમ હું તને ગણીશ. મારા તારા વચ્ચે કોઇ જાતની ભેદરેખા નહિ હોય. આ મારું વચન નિશ્ચય સમજજે. તેમાં જરા સંદેહ ન કરતી, શંકા - આણતી. ભાઇની વાતને ઇગિતાકારે બેને તરત જ સ્વીકારી લીધી. વચન ઉપર શ્રદ્ધા થવાથી નયન અને મૂળથી વચન માની લીધું. હૃદયમાં થતી શંકાનું નિવારણ કરીને રત્નજી ને કહેવા લાગી.- ભાઈ! નંદીશ્વર દ્વીપ અહીથી કેટલું દૂર હશે! રત્નજી વિદ્યાધર કહે છે. - શું કામ છે? સુરસુંદરી કહે છે. છેલ્લા કેટલાય સમયથી સાધુસંતના કે પરમાત્માના દર્શન કર્યા નથી. ભાઇ! તો મને ત્યાંની જાત્રા કરાવોને! જાત્રા કરવાની ભાવના જાગી છે. જો જાત્રા કરાવો તો હૃદય મારું શાંતિ અનુભવશે. વળી હું તારી બેન, તું મારો બાંધવ, તો આ મારું વચન માન. નીતિશાસ્ત્રમાં પાંચ પ્રકારે બાંધવ કહ્યા છે
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)