________________
૧૭૪ કર્મ-વિચાર ભાગ-૩
ઉકેલનો પત્તો લાગે ખરો.
ભલે, એ રીતે વિચાર કરો. આપણે આ કેરીના દાખલામાં પણ અનેક લાગણીઓ અનુભવી ચૂક્યા.
રસ ચાખવાની ઇચ્છા કરતાં રસની મીઠાશનું જ્ઞાન, જુદી પ્રવૃત્તિ લાગે છે. મીઠાશના જ્ઞાન પછી વધારે કેરી ચૂસવાની ઇચ્છા એ તેના કરતાં પણ જુદી પ્રવૃત્તિ જણાય છે. ખાટી કેરી ચાખીને તેને દૂર કરવાની લાગણી પણ વળી તદ્દન જુદી જ હોય એમ લાગે છે. સુંદરલાલભાઈની કેરીઓ વહેંચવાની પ્રેમની લાગણી પણ જુદા જ પ્રકારની છે.
બહાર-દુનિયામાં પણ વિચાર કરતાં દરેક પ્રાણીમાં પોતાના હિતની બાબત વિશે અથવા પોતાના પરિચયમાં આવતા પદાર્થો વિશે થોડું ઘણું જાણવું. કેટલાકને વળી પોતાને ઉપયોગી હોય કે ન હોય પણ અનેક બાબતો જાણવાની ઇચ્છા હોય છે, કે જેને લોકો વિદ્વાન કહે છે તેમાં પણ એક એક કરતાં ચડિયાતા હોય છે. કેટલાક માણસોને અમુક ખાવાની ચીજ તરફ, તો કોઈને સગાં કે અમુક કુટુંબ તરફ, કેટલાકને સામાન્ય પ્રાણીઓ ઉપર પણ લાગણી હોય છે. વળી કેટલાકને પોતાના ધર્મગુરુ તરફ કોઈને પોતાના ઇષ્ટદેવ ઉપર એટલી બધી પ્રેમની લાગણી હોય છે કે, જેથી તેઓ દુનિયામાં મોટા મોટા ભક્તો કહેવાય છે.
તેવી જ રીતે કેટલાક માણસોમાં આગ્રહ પણ એવો જ હોય છે કે તે અમુક પકડ્યું ન જ મૂકે. પછી ખરું હોય કે ખોટું હોય.
આ રીતે આત્માની પણ અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ જણાય છે. બધી એક સરખી હોય તેમ તો નથી જ.
પણ બરાબર પૃથક્કરણ કરીને હું તેને પદ્ધતિસર ગોઠવી શકતો નથી.
કંઈ અડચણ નહીં. તમે તમારી સમજણશક્તિને કામે લગાડીને જે કંઈ નિર્ણયો બાંધશો, તે પણ તમારે માટે તો ઘણા કિંમતી ગણાય. બાકી વ્યવસ્થા તો આપણે બરાબર ગોઠવી લઈશું. આથી વધારે કંઈ કહી શકશો?
હવે તો ઘણું મુશ્કેલ લાગે છે.
સાંભળો ત્યારે હું તમને પ્રથમ આત્માનું કેટલુંક સ્વરૂપ સમજાવું. પછી તેના કયા કયા ગુણો છે એ વગેરે હકીકત આપણે સમજી શકીશું.