________________
બંધનાં નિમિત્તો ૮૯
૭. પ્રકૃતિબંધ=એટલે=સ્વભાવનો નિયમ. તેથી નક્કી થયેલા સ્વભાવ
ઉપરથી અમુક ભાગલાનું અમુક અમુક નામ પડે છે. જેમકે-કર્મના પ્રદેશોનો અમુક ભાગલો માણસને હસાવશે.” એવો સ્વભાવનો નિયમ જેમાં થયો હોય, તે ભાગલાનું નામ હાસ્યકર્મ.
હવે, તે ભાગલામાં આવેલા પ્રદેશો : વખતનો નિયમ અને રસ ઓછા-વધતા જુસ્સાથી ફળ બતાવવાનો નિયમ–એ ત્રણેય કોના કહેવાય ? હાસ્યકર્મના
બસ, એટલા માટે કર્મોના વ્યવહાર માટે પ્રકૃતિબંધ મુખ્ય છે. કેમકે નક્કી થયેલા સ્વભાવ ઉપરથી તે ભાગલાનું સ્વભાવ અનુસાર નામ પડે છે. અને તે નામને આધારે તેનું કાર્ય થાય છે, અને બીજાં બધાં કર્મોની સમજનો વ્યવહાર ચાલે છે.
જેવી રીતે, ઉપર પ્રમાણેના ચાર નિયમો કર્મબંધ થતી વખતે થાય છે, તેવી જ રીતે કર્મનો બંધ થતી વખતે બીજા પાંચ નિયમો પણ થાય છે. [1] કાર્મણવર્ગણાનો અમુક ભાગ [2] અમુક વખત પછી [3] અમુક વખત સુધી [4] અમુક જુસ્સાથી [5] અમુક ફળ બતાવશે તે આપણે સમજ્યા. પરંતુ, જે ફળ બતાવશે, તે વખતે ફળ બતાવવામાં કઈ વસ્તુ નિમિત્તરૂપ થશે ? કયું દ્રવ્ય-કયો પદાર્થ નિમિત્તરૂપ થશે? તેનો નિયમ પણ કર્મબંધ વખતે જ થાય છે. જેમકે “અમુક માણસને અમુક ભાગલો, આઠ દિવસ પછી બે દિવસ સુધી, ખૂબ જોરથી તાવ લાવશે.” પરંતુ મચ્છર કરડવાથી ? કે લાડુ ખાવાથી કે વધારે કેળાં ખાવાથી એ તાવ આવશે ? કે શા નિમિત્તે તાવ આવશે ? તેનો નિયમ થવો, તે દ્રવ્યનિમિત્ત. કેળાં ખાવાથી તાવ આવવાનો નિયમ થયો હોય તો, તે માણસ કર્મબંધ થયા પછી આઠમે દિવસે કેળાં ખાય, ને બે દિવસ સુધી ખૂબ જોરથી તેને તાવ આવે. કેળાં એ દ્રવ્ય છે. દ્રવ્ય-વસ્તુ-ચીજ. હાલ એટલો જ અર્થ સમજી રાખજો.