________________
૧૨૧
પ્રભુની વાણીમાં કેવી કરૂણા ! કેવી આત્મીયતા ! તેઓએ સમકિતી ને મિથ્યાત્વીના ભેદને સમજાવી કહ્યું છે કે, તમે સમકિતી ! સમકિત વિના આ જીવ ચારે ગતિમાં ભમે છે, અથડાય કૂટાય છે અને ૮૪ લાખ યોનીમાં જન્મ-મરણ કરે છે. માટે સમકિત એ આત્મકલ્યાણનું પ્રથમ પગથિયું છે.
તારક ઉદ્ધારક પ્રભુની વાણી સાંભળ્યા પછી જીવને શાતા થઈ. કાંઈક આત્મકલ્યાણનો માર્ગ શોધવા જિજ્ઞાસા ભાવે પ્રભુને પૂછવાની લાલચ થઈ અને તેથી સંસારમાં કેટલું ભમવું પડશે એ અંગે ભવથી નિર્વદપણું (જન્મ-મરણની બાબત કંટાળો) વધારવા પૂછ્યું:
પ્રશ્ન-૩: હે સાર્થવાહ ગુરુ(પ્રભુ)! અમે અલ્પ સંસારી કે બહુલ સંસારી?
મનોવિજ્ઞાની પ્રભુએ મનને સ્થિર કરવા માટે અમારા પ્રશ્નના જવાબમાં વિધેયાત્મક વચન કહેતા કહ્યું, હે સંસાર સાગરના પ્રવાસી ! તમે ધર્મની નાવમાં બેસવા લલચાયા છો. ધર્મ ડૂબતા જીવને બચાવનાર-તારનાર છે. તેથી તમે અલ્પ સંસારીની કક્ષાના છો. જો બહુલ સંસારી હોત તો અહિં સુધી આવવાની ભાવના પણ ન થાત. અહોભાગ્ય છે કે સંસાર સાગરનો કિનારો તમે શોધી રહ્યા છો.
અલ્પ સંસારીની લાયકાત “મહાસાર્થવાહ' એવા સારથી પ્રભુના મુખે સાંભળી અમ જીવન ધન્ય બન્યું. અમારી ડૂબતી નાવને સાચા નાવિક મળ્યા.
એક દિવસ કુમારપાળ રાજાએ ઉપકારી પૂ. હેમચંદ્રસૂરિ મહારાજને પ્રશ્ન પૂછયો, પ્રભો ! હું ક્યારે મોક્ષે જઈશ ? ઉપકારી પ્રભુ સરળ અને નિખાલસ હતા. તેઓએ દેવી દ્વારા સિમંધરસ્વામી ભગવાનને આ પ્રશ્ન પૂછાવ્યો સાથે પોતે પણ ક્યારે મોક્ષે જશે તે પૂછાવ્યું. દેવી જવાબ લાવી, ગુરુના આંબલીના વૃક્ષના પાંદડાં જેટલા (અગણિત) ભવ અને રાજાના માત્ર ૩ ભવ. સંખ્યાની અપેક્ષાએ ભલે ગુરુના ભવ વધુ પણ મોક્ષગમન તેઓનું જલદી.
મારો ધન્ય બન્યો આજે અવતાર, મને મળ્યા પરમાતમા !
સમય ક્યાં પસાર થાય છે એ જ કોઈને ખબર ન પડી. પ્રભુવીરે ૧૬ પહોર(૪૮ કલાક) દેશના આપી તો તે દેશના અમૃત પીતાં કોઈ કંટાળ્યા નહોતા તો અમે કેમ કંટાળીએ ? તેથી જાગૃતિ કેળવવા પ્રભુને પૂછ્યું :
પ્રશ-૪ઃ ઓ પુંડરીક કમળ જેવા નિર્મળ નિર્મમત્વ પ્રભુ! અમે લઘુકર્મી કે ભારેકર્મી ?
પ્રભુ કેવળજ્ઞાન, કેવળદર્શનના સ્વામી હતા. એટલે અમારા પ્રશ્નનું સમાધાન અમારી જીજ્ઞાસા પ્રવૃત્તિ ભાવનાને જોઈ આપ્યું કે, લઘુકર્મી !