________________
૩૪૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
આવી ઉક્તિઓ પ્રચલિત બની છે, તે પણ આપણા જીવનની દૃષ્ટિએ બની છે. આપણે જીવનમાં સમયઉચિત કાર્ય ન કર્યું તેમાં આપણું જીવન ચાલ્યું ગયું. બીજા વ્યક્તિએ તે જ સમયે, સમયને ઉચિત કર્યું. તો તેણે જીવન જીવી લીધું. બાકી સમય તો બંને એક જ હતા. સમય બગડતો નથી કે સુધરતો નથી. સમય ન વેડફાયો, કે સમય ન સફળ થયો. વાસ્તવમાં મારું તમારું જીવન વેડફાયું, બગડ્યું, ચાલ્યું ગયું, કે સફળ થયું, સુર્યું, જીવી લીધું. બંનેનો સમય તો એક જ હતો.
→ મારો, તમારો કે સારો, ખરાબ કાળ વિગેરે ઔપચારિક રીતે ઘટે છે ઃ
સમય એટલે કાળ કોનો છે ? મારો, તમારો, બધાનો ? ના. કોઈનો નહિ. કાળ કોઈનો હોય તો તેને અનુકૂળ વર્તે, પણ કાળ-સમય-સ્વતંત્ર છે. તે પોતાની રીતે ચાલ્યા કરે છે. તમારી ઉંમર થઈ તેટલો કાળ તમારો કહો, તો તે કાળમાં શું બીજા કોઈપણ વ્યક્તિ કે પદાર્થનું અસ્તિત્વ ન હતું ? તેની ઉંમરની ગણનામાં તમારો કાળ ગણાશે કે નહિ ? તો પછી તે કાળ તમારો કાળ કેમ કહેવાય ? બીજાનો અને બધાનો પણ કહેવાય.
વાસ્તવમાં કાળ એ કાળ જ છે, તે સ્વતંત્ર છે. છતાં બધા સાથે જોડાયેલો છે. માટે ઉપચાર (એટલે કે એક જ કાળના બુદ્ધિથી જુદા-જુદા વિભાગ) કરીને મારો સમય (કાળ), તારો સમય, તેમ કહેવાય. મારો સમય કપરો છે, અને તારો સમય સરળ છે, આવું કહીએ તે સઘળું ઔપચારિક રીતે ઘટે છે, બાકી કાળ તો સઘળા વિશ્વમાં એક સરખો ચાલે છે. પછી તેને કપરો કે સરળ કેવી રીતે કહેવાય ?
વળી સૂર્યોદયનો કાળ, સવારનો કાળ, સાંજનો કાળ, દિવસ, રાત્રિ, ઋતુઓ, વર્ષો વિગેરે પણ, તે સ્થળની પરિસ્થિતિના આધારે કલ્પેલું છે. અહીંના સ્થળની અપેક્ષાએ જે સવાર છે. તે બીજા સ્થળની અપેક્ષાએ બપોર, સાંજ, રાત્રિ વિગેરે પણ હોય છે. આ રીતે વ્યક્તિની અપેક્ષાએ, બુદ્ધિથી, જેમ કાળની સારા કે ખરાબની કલ્પના કરાય છે, તેમ