________________
૩૮૩
૧૬) ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય’ એવી યથાર્થ શ્રદ્ધામાં તો પોતાના ભવ રહિતપણાનો નિર્ણય સમાઈ જાય છે એટલે કે મોક્ષનો પુરુષાર્થ તેમાં આવી જાય છે. યથાર્થ નિર્ણયનું જોર મોક્ષ પમાડે છે.
૧૭) ‘ભગવાને જેમ જોયું તેમ જ થાય’ એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં સ્થંભી ગયું છે. જ્ઞાને સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાનસામર્થ્યનો અને બધા દ્રવ્યોનો નિર્ણય કયાં છે, તે નિર્ણયરૂપ પર્યાય ક્યાંય પરમાંથી આવી નથી, વિકલ્પમાંથી પણ આવી નથી પરંતુ દ્રવ્યમાંથી તે નિર્ણયની તાકાત પ્રગટી છે એટલે દ્રવ્ય કરનારે દ્રવ્યને પ્રતીતમાં લઈને નિર્ણય કર્યો છે. આવો નિર્ણય કરનાર જીવ સર્વજ્ઞનો સાચો ભક્ત છે. તેનું વલણ પોતાના સર્વજ્ઞ સ્વભાવ તરફ ઢળ્યું છે અને ક્યાંય અટક્યા વગર તે અલ્પ કાળમાં સંપૂર્ણ સર્વજ્ઞ થશે.
૧૮) જે સમયે સ્વલક્ષના પુરુષાર્થ વડે આત્માની સમ્યગ્દર્શન પર્યાય પ્રગટે તે ખતે સાચા દેવશાસ્ત્ર-ગુરુ નિમિત્તરૂપ હોય જ છે. ઉપાદાનકારણ તૈયાર થાય ત્યારે નિમિત્તકારણ સ્વયં આવી મળે છે. પરંતુ કોઈ કોઈના કર્તા નથી. બન્ને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કર્તા છે.
૧૯) અહો ! વસ્તુની કેટલી સ્વતંત્રતા ! સમસ્ત વસ્તુઓમાં ક્રમવર્તીપણું ચાલી જ રહ્યું છે, એક પછી એક પર્યાય કહો કે ક્રમબદ્ધ પર્યાય કહો જે પર્યાય થવાની તે પર્યાય થયા જ કરે છે. જ્ઞાની જીવ જ્ઞાતાપણે જાણ્યા જ કરે છે અને અજ્ઞાની જીવ કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. જે પરના અભિમાન કરે છે તેની પર્યાય ક્રમબદ્ધ હીણી પરિણમે છે અને જે જ્ઞાતા રહે છે તેની જ્ઞાનપર્યાય ક્રમબદ્ધ ખીલીને કેવળજ્ઞાન થાય છે.
૨૦) ચૈતન્યની શુદ્ધ ક્રમબદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતી નથી. મોક્ષમાર્ગની શરૂઆતથી મોક્ષની પૂર્ણતા સુધી બધે ય સમ્યક્ પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું ફળ જ્ઞાતાપણે રહીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે.
૧૧. સ્વાધીન તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ :
૧) સર્વજ્ઞ ભગવાને જેમ જોયું હોય તેમ જ થાય, તેમાં જરાય ફેરફાર ન જ થાય, આવી દૃઢ પ્રતીતિનું નામ નિયંતવાદ નથી, પણ આ તો સમ્યગ્દષ્ટિ ધર્માત્માનો પુરુષાર્થવાદ છે.
૨) સમ્યગ્દર્શન સિવાય આ વાત નહિ બેસે ! પરમાં જોવાનું નથી પણ સ્વમાં જોવાનું છે.
૩) જેની દૃષ્ટિ એકલા પરપદાર્થ ઉપર જ છે તેને ભ્રમથી એમ લાગશે કે આ તો નિયતવાદ છે. પણ જો સ્વ તરફથી જુએ તો આમાં એકલો સ્વાધીન તત્ત્વદષ્ટિનો પુરુષાર્થ ભરેલો છે.
૪) વસ્તુનું પરિણમન સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે ક્રમબદ્ધ થાય છે એમ નક્કી કર્યું ત્યાં બધા પરદ્રવ્યોથી જીવ ઉદાસ થઈ ગયો અને તેથી સ્વદ્રવ્યમાં જ તેને જોવાનું રહ્યું અને તેમાં જ સમ્યક્ પુરુષાર્થ આવી ગયો.