________________
૯૮
૬
મિથ્યાત્વ શું છે?
૧. ભૂમિકા :
જગતના જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે અવિનાશી સુખ મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે, પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુઃખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની પરંપરાથી જીવો શી રીતે મુક્ત થાય તેનો ઉપાય અને તેનું વીતરાગી વિજ્ઞાન અનંત તીર્થકરોએ કરુણા કરી જીવોને બતાવ્યું છે.
‘મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે.”
વસ્તુનું સાચું સ્વરૂપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ; તેથી વસ્તુનું સાચું સ્વરૂપ પ્રથમ સમજવાની અનિવાર્યતા છે. વસ્તુના યથાર્થ સ્વરૂપ સંબંધી જે ખોટી માન્યતા તે જ મૂળભૂત ભૂલ છે અને તે ભૂલને મિથ્યાત્વ કહેવામાં આવે છે.
વસ્તુના સાચા સ્વરૂપ સંબંધી જીવને જો ખોટી માન્યતા ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય જ નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય. સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક જે કાંઈ વર્તન થાય તે યથાર્થ જ હોય; તેથી સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક થતાં સાચા વર્તન દ્વારા જ જીવો દુઃખથી મુક્ત થઈ શકે છે એવો સિદ્ધાંત છે.
જૈન શાસ્ત્રોમાં વીતરાગી વિજ્ઞાનનું જ પ્રતિપાદન છે. એમાં અનેકાન્ત દ્વારા સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે, તથા સાચા રત્નત્રયરૂપ સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યગ્યારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ .
બતાવ્યો છે. ૨. સ્વરૂપ સંબંધની ભૂલ એ જ મિથ્યાદર્શન છેઃ
“જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” ‘પોતે કોણ છે?', પોતાનું સાચું સ્વરૂપ શું છે?” તે સંબંધી જગતના જીવોની મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું સ્વરૂપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ સતત પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થ તરફથી અગવડ મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની આ માન્યતાથી જીવને સદાય આકુળતા રહ્યા જ કરે છે.
જીવની આ ભૂલને શાસ્ત્રમાં મિથ્યાદર્શન' કહેવામાં આવે છે, જ્યાં મિથ્યા માન્યતા હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ, તેથી મિથ્યાદર્શનરૂપ મહાન ભૂલને મહા પાપ પણ કહેવામાં આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ દુઃખનું મહા બળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષમાં નથી.