________________
વિસ્મય અને હર્ષથી પુલકિત બનેલા ગૌતમ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરે છે. ગૌતમનું જીવન એટલે એક વિરાટ વર્તુળ અને તેનું કેન્દ્ર પ્રભુ ! પ્રભુને કેન્દ્રમાં રાખી ત્રણ પ્રદક્ષિણા ફરતા ગૌતમસ્વામી કેવા ભવ્ય લાગતા હશે ! પ્રભુની સ્તુતિ કરીને પ્રભુનાં ચરણોમાં નમસ્કાર કરે છે. પ્રભુનાં વચનોનાં શ્રવણની તીવ્ર ઇચ્છાથી ભરેલા ગૌતમ પ્રભુને અભિમુખ બને છે. વિનયપૂર્વક બે હાથની અંજલિ મસ્તકે અડાડીને નતમસ્તક ગૌતમ પ્રભુનાં વચનામૃતને ઝીલવા ઉત્સુક બન્યા છે. પ્રભુના ચરણોપાસક બનીને પ્રભુના વચનોપાસક બનવા તત્પર બનેલા વિનયમૂર્તિ ગોતમસ્વામીની આ સજ્જતા જાણીને વિસ્મિત થઇ જવાય છે.
ચાલો, આજે ગૌતમનું ધ્યાન ધરીએ. દેદીપ્યમાન સમવસરણમાં રત્નખચિત સિંહાસન પર દિવ્યક્રાન્તિથી ઓપતા પ્રભુ બિરાજે છે. વિનયમૂર્તિ ગૌતમ નતમસ્તકે બે હાથ જોડીને વિસ્મિત વદને અને તૃષાતુર નયને પ્રભુ સામે ટાંપીને બેઠા છે. પ્રભુના વદન-કળશમાંથી વચનવારિ વહેતાની સાથે તેને ઝીલવા માટે ઉત્સુકતાથી બે કર્ણકટોરાને ગૌતમ ધરીને બેઠા છે. ગૌતમની કાયા પર રોમરાજિ વિકસ્વર બનેલી છે. આવા જિજ્ઞાસુ ગૌતમને આપણા ધ્યાન ભુવનના આરાધ્ય દેવ બનાવીએ.
૬૩