________________
Me+
: ભૂમિકા :
શ્રી સિદ્ધગિરિરાજની પવિત્ર છાયામાં, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત પારણાભવનમાં યોજાયેલ શ્રમણ સંમેલનમાં ફાગણ વિદ ત્રીજથી દશમ દરમ્યાન પ્રતિદિન બબ્બે ચર્ચાસત્રો યોજાયા અને અગિયારશે સંમેલનની ફલશ્રુતિઉદ્ઘોષણા મહાસભા યોજાઈ. આઠ દિવસમાં કુલ પંદર ચર્ચાસત્રો અને એક શ્રાવકસમિતિ સાથેની વિચારણાબેઠક થઈ. દરેક ચર્ચાસત્ર અંદાજે ત્રણ કલાકનું રહેતું અને તેમાં ૭૫ પૂ. આચાર્યદેવોસહિત અંદાજે છસો મુનિભગવંતો ઉપસ્થિત રહેતા હતા. પ્રતિદિન ચર્ચાસત્રના પ્રારંભે શ્રાવકસમિતિ માંગલિક શ્રવણ માટે ઉપસ્થિત રહેતી હતી. મંગલાચરણ બાદ પ્રતિદિન ઝિલાવાતી નમસ્કારમહામન્ત્રની વિશિષ્ટ લયબદ્ધ સૂરાવલિથી સમસ્ત શ્રમણપર્ષદાને નવકારમય બનાવાઈ હતી, તો તે પછી સંમેલનાધ્યક્ષ પૂજયશ્રી તથા પ્રવરસમિતિના પૂ. આચાર્યદેવો મંગલ આશીર્વચન ફરમાવતા હતા.
ચર્ચાસત્રમાં વિચારણાસૂચિ (એજન્ડા)ના પ્રત્યેક વિષય પર લગભગ દરેક સમુદાયના ગુરુભગવંતો મુક્તભાવે પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. કેટલાક ગુરુભગવંતો શાસ્ત્રપાઠની નોંધ લઈને પધારતા હતા, તો કેટલાક ગુરુભગવંતો શાસ્ત્રના પાના લઈને ચર્ચા કરતા હતા. શ્રમણસંમેલનના આ ચર્ચાસત્રોનાં દર્શન નયન-મનને પાવન કરે એવા હતા. દરેક મુદ્દાની ચર્ચાના અંતે સર્વ વિચારો આવરી લઈને ઠરાવનું મૌખિક સ્વરૂપ ઘોષિત કરાતું હતું. સહુ ગુરુભગવંતો એને મંજૂર કરે તે પછી નવા મુદ્દાની ચર્ચા આરંભાતી. એક દિવસમાં મંજૂર થયેલ સર્વ ઠરાવો બીજા દિવસના ચર્ચાસત્રના પ્રારંભે સહુને લેખિતસ્વરૂપે વાંચી સંભળાવાતા હતા. તે પછી પૂર્વદિનના તે તમામ ઠરાવો પર સર્વ સમુદાયોના પૂ. ગચ્છાધિપતિશ્રીઓ કે તેમના પ્રતિનિધિ પૂજયશ્રીઓની સહી થતી હતી. આવા કુલ ૬૩ ઠરાવો પસાર કરાયા હતા. લગભગ તમામ ઠરાવો સ્પષ્ટ સમજાય તેવા જ છે. છતાં અહીં તેની ઉપયોગિતાની સંક્ષિપ્ત સમજ અપાય છે.
...વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન 33