________________
૩ર૧
લેવો પડે છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ જેવી દુઃખદ પરિસ્થિતિમાં પ્રવેશવા માટે અંધારા ગર્ભની કાળી કોટડીમાં મળમૂત્ર વચ્ચે પુરાવું પડે છે અને અંતે તો જન્મમૃત્યુના દુષ્કર ચક્રમાં પતન પામી, પરાધીન થઈ સંસારચક્ર ચઢવું પડે છે. આને જ મનની ભ્રાંતિને લીધે ઉત્પન્ન થયેલું જન્મમૃત્યરૂપી કે ભવસાગરરૂપી બંધન કહેવામાં આવે છે. | મન વિષયઘેલું છે માટે ઇન્દ્રિયો જયારે વિષયભોગમાં દોડે છે ત્યારે તે પણ ઇન્દ્રિયોના સાથમાં પ્રવાસ કરી વિષયભોગમાં આસક્ત બને છે. ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ વિષયની અપ્રાપ્તિ કે ભોગની નિષ્ફળતાથી મન ક્ષિપ્ત, વિક્ષિપ્ત, ચંચળ કે અવિવેકી થઈ, આવેશ કે આવેગમાં ક્રોધિત થાય છે અને ક્રોધાગ્નિમાં ભભૂકી ઊઠેલું વિક્ષેપવાળું મન મોહગ્રસ્ત થઈ અંતે આત્મસ્મરણના વિસ્મરણ રૂપી પતનમાં પડે છે. આવું આત્મવિસ્મરણરૂપી પતન એ જ વાસ્તવમાં સાચા મુમુક્ષુ માટે બંધન છે. જે વિષયચિંતન કે ભોગમાં ગળાડૂબ હોય તે કદાપિ મોક્ષમાર્ગે એકાગ્ર થઈ આત્મસ્મરણ કરી શકે નહીં. આમ, આત્મસ્મરણરૂપી શિવમય જીવનથી કે કલ્યાણમય માર્ગથી જે મન વિષયાસક્ત થઈ મુમુક્ષને પતનના માર્ગે ધકેલે છે તે જ ભવસાગરમાં પડવારૂપી અધઃપતન છે. તેને માટે જ કહ્યું છે કે મનરૂપી અવિદ્યા જ ભવબંધનના કારણરૂપ કે હેતુરૂપ છે.
मनः हि अविद्या भवबन्धहेतुः । तस्मिन् विनष्टे सकलं विनष्टम् ।।
મન ભવબંધનનું કારણ છે. તેથી એક વસ્તુ સ્પષ્ટ છે કે જો મનનો નાશ કરવામાં આવે તો જ સંસારરૂપી બંધનનો નાશ થઈ શકે કારણકે કારણના નાશમાં સંસારરૂપી કાર્યનો કે મનથી પેદા થયેલા બંધનનો નાશ થઈ શકે તેમ છે. પરંતુ મનોનાશમાં બંધન કે સંસારનો નાશ છે તેવું સમજવા માટે આપણે વિચાર કરવો પડશે કે મનથી કઈ રીતે સંસાર પેદા થયો છે. જો તેવું નહીં સમજાય તો મનોનાશ એ જ સર્વનાશ છે તેવું કદાપિ સમજી શકાય નહીં. પૂર્વે સમજાવાઈ ગયું કે મન એ જ અજ્ઞાન કે અવિદ્યા છે એવી સમજથી એવો સાત્ત્વિક ઘટસ્ફોટ કરી શકાય કે અજ્ઞાન દ્વારા શરીર જમ્મુ