________________
ર૫
વિનાના વાડા જેવું કે પાણી વિનાની જ ાશયની ખાડ જેવું વિરહિણીનું વદન, પીંજેલા રૂ જેવાં શરદનાં અભ્ર, ઉકાળ ને ઠારેલા પાણીના સ્વાદ જેવો તૂટીને સંધાયેલો પ્રેમ એવાં એવાં ઉજ્જ્વળ ચિત્રોની અહીં ખોટ નથી.
ગ્રામીણ જીવનનો પરિવેશ
―
ગ્રામીણ જીવનના બધા વાણાતાણાનો વાચકને જેટલો વધુ પ્રત્યક્ષ અનુભવ તેટલી આ કવિતા વધુ માણી શકાય. શાળનાં, તલનાં અને શણનાં ખેતર; કદંબ, શેફાલિકા, નવમાલિકા, કુરબક અને અંકોલનાં ફૂલની ઉન્માદક સૌરભ; પારધી અને ભીલોના નેસડાનું અને પહાડી ગામડાનું જીવન; વિવિધ લોકોત્સવો અને રીતરિવાજો — આ સૌનો પરિવેશ ‘ગાથાકોશ’ની કવિતામાં અંગભૂતછે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો અને આવિષ્કારો સાથેની આત્મીયતા, રંગ, રૂપ, ગંધ, સ્પર્શની સેંકડો ભાતો અને છાયાઓ પ્રત્યે ગ્રહણશીલ, અકુંઠિત ઈંદ્રિયો, નિત્યના જીવનના સેંકડો નાનામોટા પ્રસંગો અને ઘટનાઓ સાથે વણાયેલા લોકજીવનના ભાવો પ્રત્યે સંવેદશીલતા - આવી આવી સજ્જતા લઈને જ આ કવિતા પાસે પહોંચાય.
―――
અન્યોક્તિ અને સુભાષિત .
પ્રેમકવિતા અને પ્રકૃતિકવિતા ઉપરાંત મુક્તકોના બીજા બે પ્રકાર પણ વ્યાપક છે. તેમાંનો એક પ્રકાર તે અન્યોક્તિનો. આ પૂર્વે નોંધ્યું છે તેમ ભ્રમર, ગજ, હંસ, સાગર વગેરેનાં વર્ણનના ઓઠા નીચે માનવજીવન કે વ્યવહારની કોઈ વાત આમાં સૂચિત થતી હોય છે. આને અન્યાપદેશ કે અપ્રસ્તુતપ્રશંસા પણ કહે છે. પાછળના સમયમાં આ પ્રકારનાં મુક્તકોના સ્વતંત્ર સંગ્રહો પણ મળે છે.
બાકીનો એક વિભાગ સદ્બોધ, ડહાપણ, નીતિ કે લોકવ્યવહારને લગતાં મુક્તકોનો છે. સદુક્તિ, સૂક્તિ કે સુભાષિતોનો સાંકડો અર્થ આ જ છે. સમગ્ર મુક્તસાહિત્યમાં નીતિવાક્યો, બોધવચનો, ચિંતનકણિકાઓ અને અનુભવબોલોને ગૂંથી લેતાં મુક્તકોનું પ્રમાણ જ કદાચ સૌથી મોટું હશે. ‘સપ્તશતી’માં સજ્જન, દુર્જન, વૃદ્ધત્વ, કૃપણતા, ધનિક, દરિદ્ર, મૈત્રી, પ્રેમનું સ્વરૂપ, ગૃહસ્થી, વૈરાગ્ય વગેરેને લગતાં મુક્તકોને પણ સ્થાન મળ્યું છે.