________________
અર્થની વ્યંગ્યતા
આ મુક્તકોના કવિઓને પરોક્ષ કથનની, અર્થને વ્યંગ્ય રાખવાની રીતિ ઘણી પ્રિય છે. સીધો શબ્દમાં મૂક્યા વિના ઊંડો માર્મિક અર્થ કેમ અવગત કરાવવો તેની કલા તેમની પાસે છે. આથી આ ગાથાઓ વક્રોક્તિનાં, ધ્વનિકાવ્યનાં, વિદગ્ધભણિતિનાં સચોટ ઉદાહરણો લેખે રસિકોમાં અતિશય પ્રિય બની, અને કાવ્યર્થને ગમ્ય કે ગર્ભિત રાખવાની રચનારીતિ સર્વોત્તમ મનાતાં, અલંકારગ્રંથોમાં “સપ્તશતી'ની શૃંગારિક ગાથાઓનો ઉદાહરણ તરીકે વારંવાર ઉપયોગ થવા લાગ્યો. વળી પ્રેમભાવમાં અનુસ્મૃત અનેક તરલ સહચારી ભાવોની માર્મિક અભિવ્યક્તિને લીધે આ ગાથાઓએ પાછળના સમયના કવિઓ પર પણ પોતાનું કામણ પ્રસાર્યું, જાદુ પ્રસાર્યો. અમરુક કવિનાં કેટલાંક અમર મુક્તકોમાં આપણને “સપ્તશતી'ની જ કેટલીક ગાથાઓનો સૂર સંભળાય છે. પ્રેમનાં સ્વરૂપ, સામગ્રી, પરિવેશ
સપ્તશતીમાં પ્રેમની અનેક વિધવિધ અવસ્થાઓ, સ્વરૂપો અને આવિર્ભાવોનાં રસિક ચિત્રો આપણને મળે છે. પ્રેમ મુગ્ધાનો હોય કે પ્રૌઢાનો, કુમારીનો હોય કે પરિણીતાનો, કુલટાનો હોય કે જારનો, ગણિકાનો હોય કે બહુવલ્લભ નાયકનો–સચ્ચાઈથી અનુભવેલી લાગણી તેના પ્રત્યેક સ્વરૂપમાં આ કવિઓનો મનભાવન વિષય છે.
અહીં મુગ્ધાનાં કેવાં કેવાં મનોરમ રૂપ છે?– પ્રિયતમ દૃષ્ટિએ પડતાં રોમાંચથી અંગે અંગે કદંબ પુષ્પની જેમ કૉળી ઊઠતી; પ્રિયતમની દૃષ્ટિથી અંગોને બચાવવાને તેમ જ તેમને તેની આગળ ધરવાને એક સાથે ઇચ્છતી; જનકોલાહલની વચ્ચેથી પ્રિયતમના બોલાશને હંસીની જેમ સારવી લેતી; ઊંચી વાડની આડશને કારણે બાજઠ ઉપર બાજઠ ચડાવી તેની ઉપર પગના અંગૂઠાભર થઈને પ્રેમીની ઝાંખી કરવા મથતી.
: અહીં ગોદાવરીનું પૂર તરીને વર્ષાની મધરાતે પ્રેમીને મળવા જતી અભિસારિકા છે. ક્ષણમાત્ર પણ આલિંગનથી છૂટવા ન માંગતા પ્રેમીઓ છે. નદીકુંજ, ગામનો વડ, કપાસ અને ડાંગરનાં ભર્યા ખેતર – એવાં એવાં