________________
૧૫
અમરુકની જેમ તેમણે પોતે રચેલાં મુક્તકોના સંગ્રહમાં અન્ય કવિઓનાં સમાન ભાવવાળાં મુક્તકોનો ઉત્તરોત્તર ઉમેરો થઈને તેમના સંગ્રહોનું સ્વરૂપ સધાયું છે.
પર્યાયબંધ, વ્રજ્યા, કોશ
નવમી શતાબ્દીના સાહિત્યમીમાંસક આનંદવર્ધને વિવિધ સાહિત્યસ્વરૂપોનો પરિચય આપતાં ‘પર્યાયબંધ’ નામનો એક સાહિત્યપ્રકાર ગણાવ્યો છે, અને અભિનગુપ્ત તેનું એવું લક્ષણ આપે છે કે વસંતવર્ણન જેવા એક જ વિષયને લગતા, પ્રત્યેક સ્વયંપર્યાપ્ત હોય તેવા શ્લોકોનો સમૂહ તે પર્યાયબંધ. નામ સાર્થક એ રીતેછે કે તેમાં એક જ વિષયનું પર્યાયથી વર્ણન હોયછે. આ ‘પર્યાય’નાં પ્રાકૃતમાં ‘પજ્જા’ અને ‘વજ્જા’ એવાં રૂપ થયાં, અને તેમનું મૂળ ભુલાઈ જતાં તેમના પરથી ‘વ્રજ્યા’ એવું નવું સંસ્કૃત રૂપ ઘડી કઢાયું. પ્રાકૃત સુભાષિતસંગ્રહોમાં એક જ વિષયના મુક્તકગુચ્છને માટે ‘વજ્જા’ અને સંસ્કૃત સુભાષિતસંગ્રહોમાં ‘વ્રજ્યા’ એવાં નામ પ્રચલિતછે. આવા વિવિધ વિષયોને લગતા ગુચ્છો કે વ્રજ્યાઓ એક સંગ્રહમાં મુકાય ત્યારે તેને ‘કોશ’ (કે ‘કોષ') એવી સંજ્ઞા અપાતી — જેમ કે વિદ્યાકરનો ‘સુભાષિત-રત્નકોષ’, હાલ કવિનો ‘ગાથા-કોશ’. આ ઉપરથી એટલું અનુમાન સહેજે થઈ શકે કે નવમી શતાબ્દી પહેલાં સુભાષિતસંગ્રહોની પરંપરા સ્થપાઈ ચૂકી હતી.
―
સંસ્કૃત મુક્તકસંગ્રહો
વિવિધ કવિઓનાં નામ સાથેના સંસ્કૃત મુક્તકોના સંગ્રહ અગિયારમી શતાબ્દીથી મળેછે. વીશમી શતાબ્દી સુધીમાં તો સાઠથી સિત્તેર જેટલા વિવિધ સુભાષિતસંગ્રહો રચાયા છે. આમાંના મોટા ભાગના હજી અપ્રકાશિત છે. આ સંગ્રહોમાં સેંકડો કવિઓનાં રચેલાં હજારો મુક્તકો સંગ્રહાયાંછે. ૧૯૭૬ના જૂનમાં તુરિન (ઇટાલી)માં ભરાયેલી બીજી આંતરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદે સંસ્કૃત મુક્તકકવિઓની નામાવલિ ત્રણ ગ્રંથોમાં તૈયા૨ કરાવવા અંગે અને સુભાષિતોનો એક વિશ્વકોશ તૈયાર કરાવવા અંગે જે ઠરાવો કર્યા છે, તેમાં સંસ્કૃત મુક્તકસાહિત્યની સમૃદ્ધિનો જ સંકેતછે. થોડાક પ્રાચીન અને સુપ્રસિદ્ધ સંગ્રહો નીચે પ્રમાણે છે :