________________
यस्माद् विस्मापयितसुमनः स्वर्गसम्पद्विलासाः, प्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपलं,
तदुष्प्रापं भृशमुरुधियः । सेव्यतां बोधिरत्नम् ॥ પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધા૨સ'ની બારમી બોધિદુર્લભ ભાવનાનો પ્રારંભ કરતાં કહે છે ઃ
-
‘ઓ વિશાળ બુદ્ધિવાળા જીવો ! જેના પ્રભાવે દેવલોકની વિસ્મિત કરનારી સુખસંપત્તિ મળે છે, અનેક પ્રકારનો ઉલ્લાસ, આનંદ પ્રાપ્ત થાય છે અને આગામી જન્મોમાં ભાગ્યશાળી - ઉત્તમ કુળમાં જન્મ મળે છે, અદ્વૈત બ્રહ્મની ઉત્કૃષ્ટ પદવી પ્રાપ્ત થાય છે અને જે અદ્વિતીય છે, દુષ્પ્રાપ્ય છે એ બોધિરત્નની તમે ઉપાસના કરો. આ ભાવનાનું ચિંતન :
અનંત-અપાર જીવસૃષ્ટિમાં આજે હું મનુષ્યના રૂપમાં છું. મને મનુષ્ય જીવન મળ્યું છે, એ મારું કેટલું મહાભાગ્ય છે ? કેવી મારી ખુશનસીબી છે ? હું નરકમાં નારકરૂપમાં હોત તો ? જો હું કદાચ તિર્યંચગતિમાં પશુ-જાનવરના રૂપમાં હોત તો ? કેટલી ઘોર વેદનાઓ સહન કરવી પડત ? પ્રગાઢ અજ્ઞાનમાં મારે ભટકવું પડત. દેવલોકમાં કદાચ દેવ હોત તો પણ શું ? વૈષયિક સુખોમાં લીન બનીને ધર્મપુરુષાર્થથી વંચિત રહી જાત.
મને માનવજન્મ મળ્યો છે. આ જીવનમાં ન તો એવાં તીવ્ર દુઃખો છે કે ન તો ભરપૂર સુખ છે. એટલે કે આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરવાનો મોકો મને મળ્યો છે. જો હું ‘અકર્મભૂમિ’માં પેદા થયો હોત તો ? ત્યાં મારું શું થાત ? અકર્મભૂમિમાં ન તો કોઈ તીર્થંકર જન્મ લે છે, ન ત્યાં ધર્મશાસન હોય છે, ન ત્યાં કશું સુખ મળી શકે છે.
મારો જન્મ આ ભરતક્ષેત્રમાં થયો કે જે ભરતક્ષેત્ર કર્મભૂમિ છે. જો કે આવાં તો પાંચ ભરતક્ષેત્રો છે આ વિશ્વમાં. પાંચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો છે. આ દુનિયામાં - અઢી દ્વીપમાં, આ ક્ષેત્રોમાં યથાયોગ્ય સમયે તીર્થંકર હોય છે. તેઓ ધર્મશાસનની સ્થાપના કરે છે. એમના ધર્મશાસનમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા હોય છે. બધાં પરસ્પર મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક હોય છે. મારું કેવું સદ્ભાગ્ય છે કે મારો જન્મ કર્મભૂમિમાં થયો, એટલું જ નહીં, મારો જન્મ ઉત્તમ કુળમાં થયો. માતા સંસ્કારી મળી, પિતા દયાળુ મળ્યા. ચારે કોર અહિંસક, દયાર્દ્ર વાતાવરણ મળ્યું. પરિવાર યા પાડોશમાં ન કોઈ હિંસા, યા ન કોઈ પ્રકારની મારફાડ, ન કોઈ ચોરી, ન દુરાચાર, પરમાર્થ અને પરોપકારનું વાતાવરણ મળ્યું. એને પણ હું મારું મહામૂલ્યવાન ભાગ્ય સમજું છું.
બોધિદુર્લભ ભાવના
૫૩