________________
આ વિષયો પ્રારંભમાં ઉત્સવ જેવા લાગે છે, મધ્યમાં શૃંગાર અને હાસ્યને ઉદ્દીપન કરનારા છે અને અન્તમાં બીભત્સ, કરુણાસ્પદ, લજ્જા અને ભયોત્પાદક હોય છે.
યૌવનની એ ઉત્સુકતા! યૌવનનાં એ મદભર સ્વપ્ન ! મન:પ્રિય-પ્રિયતમના. મધુર સંગમની રંગીન કલ્પનાઓ ! યુવાન હૃદયમાં થનાર આ મહોત્સવમાં જેઓ રાચે છે એ જ એ આનંદની અનુભૂતિનું વર્ણન કરી શકે છે. વૈષયિક સુખના આનંદની એ પ્રારંભિક ક્ષણો ઠીકઠીક ઉત્તેજનાભરી હોય છે. વણજોયેલું જોવાની ઉત્સુકતા, અનનુભૂત અનુભવવાનું કુતૂહલ યુવાનીના સમયમાં સહજ અને સ્વાભાવિક હોય છે.
આ ત્રણ અવસ્થાઓનું વર્ણન પ્રશમરતિમાં કરવામાં આવ્યું છે - આદિ, મધ્ય અને અંત! આદિમાં ઉત્સુકતા અને કુતૂહલ થવાથી શાન્તિ અને સ્વસ્થતા રહેતી નથી. મધ્યમાં આવેગની ક્ષણોમાં તીવ્ર મોહની વેદના-વ્યાકુળતા હોવાથી ત્યારે પણ શાન્તિ યા તો સ્વસ્થતા રહેતી નથી. અંતમાં કરૂણાજનક રૂદન, શરમ અને ભયની ભાવનાઓ પેદા થવાથી શાંતિ અને સ્વસ્થતા રહેતાં નથી. વિષયસેવન પૂર્વે સ્વસ્થતા નથી રહેતી. વિષયસેવન સમયે શાંતિ-સ્વસ્થતા નથી ટકતાં અને પછી ય શાંતિ-સ્વસ્થતા ન રહે! તો પછી વિષયસેવન શા માટે કરવું?
જ્ઞાની પુરુષ, આત્મદ્રા મહર્ષિ ક્ષણિક સુખ કરતાં અંતરાત્માની સ્થાયી શાંતિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં ભલે ક્ષણિક સુખની અનુભૂતિ મનુષ્ય કરી લેતો હોય, પણ એ થોડી ક્ષણો વીતી ગયા પછી ? એ વાસનાનો ઝેર-જ્વર શાન્ત થયા પછી શું? માત્ર અશાંતિ અને અસ્વસ્થતા જ ને? એક વાર્તા - બે મિત્રોનીઃ
વિમલ અને કમલની મૈત્રી ઉપર જનમત આશ્ચર્યચકિત હતો, અભિભૂત પણ ખરો. એમના વૈચારિક વિરોધાભાસથી પણ બધા પરિચિત હતા. વિમલને જ્યાં શાસ્ત્રી, સત્સંગથી પ્રીતિ હતી તો કમલ રંગરાગનો રસિયો હતો. છતાં પણ કંઈક એવું હતું કે જે એમને બાંધી રાખતું હતું.
એમના પિતા શ્રેષ્ઠી સોમપ્રભ અને સોમદેવની ખ્યાતિ અવંતિકામાં જ નહીં, આસપાસનાં નગરોમાં પણ હતી. બંને મિત્રો એક દિવસે સંધ્યા સમયે ક્ષિપ્રા તરફ ચાલી નીકળ્યા હતા. માર્ગમાં એક સ્થળે મલ્લયુદ્ધનું આયોજન થઈ રહ્યું હતું. સવિખ્યાત મલ્લો પોતાના શરીરસૌષ્ઠવનું પ્રદર્શન કરીને સ્વયંની અને પોતાના સ્થાનની કીતિ દ્વિગુણિત કરી રહ્યા હતા. બંને મિત્રો ત્યાંથી પસાર થયા. વિમલનું મન એક ક્ષણ માટે રોકાવા તૈયાર થયું, કમલના રસિક મનમાં મલ્લયુદ્ધ માટે કોઈ દિલચસ્પી ન હતી. એણે વિમલનો હાથ પકડીને ખેંચ્યો અને આગળ ચાલ્યો.
કરુણા ભાવના