________________
સુંદર તોરણ બાંધ્યાં અને ભગવાનને દાન આપવા મેવા મીઠાઈના થાળ ભરાવ્યા. ‘અરિહંત પરમાત્માને દાન આપીશું... આપતાં આપતાં હર્ષિત થઈશું... મારા હર્ષની સીમા નહીં રહે ! ત્રીજા ભવે તો મારો મોક્ષ થઈ જશે. અરે, અરિહંતને હર્ષિત મનથી દાન આપતાં રોગ-શોક દૂર થઈ જાય છે. હું પ્રભુની સન્મુખ જઈશ. એમને લઈને આવીશ. મારે ઘેર પ્રભુ પધારશે... ખૂબ ભાવથી પારણું કરાવીશ... સારી રીતે એમની પૂજા કરીશ.
પછી તેમને વળાવવા જઈશું. ત્યાં જઈને બે હાથ જોડીને એમની સામે ઊભો રહીશ. નમન-વંદન કરીને પાવન થઈશ અને દેશવિરતિ - શ્રાવકધર્મ સ્વીકારીશ, દયા, દાન, ક્ષમા, શીલ આદિ ધર્મોનું પાલન કરીશ; સજ્જનો સાથે ધર્મકથા કરીશ.’ આ પ્રકારની ઉચ્ચ ધર્મભાવનામાં વહેતા રહ્યા... પરંતુ ભગવાને પારણું બીજી જગાએ કર્યું ! દેવોએ દુંદુભિનાદ કર્યો... એ સમયે જીરણ શેઠનું આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ બારમા અચ્યુત દેવલોકમાં દેવ થયા.
આ છે ભાવધર્મની આરાધનાનું ફળ !
ભાવછત્રીસીમાં ‘જ્ઞાનસાર’ મુનિ
શ્રી રત્નરાજ ગણીના શિષ્ય જ્ઞાનસાર મુનિએ ભાવછત્રીસીની સુંદર રચના વિ. સં. ૧૮૬૩માં કિસનગઢમાં ચાતુર્માસ સમયે કરી હતી. પ્રાચીન ભાષામાં આ રચના છે. કેટલાક અંશો સંભળાવું છું. તેઓ કહે છે -
ક્રિયા અશુદ્ધતા કછુ નહીં, ભાવ અશુદ્ઘ અશેષ, મર સત્તમ નરકે ગયો, તંદુલ-મચ્છ વિશેષ.
સ્વયંભૂરમણ સમુદ્રમાં તંદુલ નામનું એક નાનકડું માછલું થાય છે. એ કોઈ પાપક્રિયા નથી કરતું, છતાં તે મરીને સાતમી નરકે જાય છે. કારણ ? ભાવની અશુદ્ધિ ! હિંસાના ભાવને કારણે તે નરકમાં જાય છે !
ભાવશુદ્ધિતા જબ ભઈ, કહાં ક્રિયા કા ચાર ? દૃઢપ્રહારી મુગતે ગયો, હત્યા કીની ચાર
દૃઢપ્રહારી કે જેણે ચાર-ચાર હત્યાઓ કરી હતી, એણે કઈ ધર્મક્રિયા કરી હતી ? ભાવશુદ્ધિથી જ એ મુક્તિ પામ્યો હતો.
સાધુક્રિયા કબુ નવ કરી, ઋષભદેવ કી માંય, ભાવ શુદ્ધ સે સિદ્ધ હૈં, સિદ્ધ અનંત સમાય ॥
ભગવાન ઋષભદેવની માતા મરુદેવાએ ક્યાં કોઈ ધર્મક્રિયા કરી હતી ? પરંતુ ભાવની શુદ્ધિથી જ એ અનંત સિદ્ધોમાં સમાઈ ગયાં. મોક્ષે ચાલ્યાં ગયાં.
પ્રમોદ ભાવના
૧૭૫