________________
મનની વાત
શાંતસુધારસ ! મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજની અદ્ભુત અને અનુપમ રચના! આ ગ્રંથ પ્રત્યે મને મારા દીક્ષાજીવનના પ્રારંભિક વર્ષોથી આકર્ષણ રહ્યું છે...ખેંચાણ રહ્યું છે.
આખો ગ્રંથ કંઠસ્થ કરીને એને ગાવામાં નિજાનંદની અનુભૂતિનો આછેરો અણસાર જોયો છે. જામ્યો છે અને માણ્યો છે !
અનેક વખત આ ગ્રંથની ગાથાઓ.. ભાવનાઓ ઉપર પ્રવચનો કર્યા છે. મોટા , જનસમૂહમાં અને જિજ્ઞાસુઓના નાના વર્તુળમાં ! આ ગ્રંથને ગાવામાં.. એના ઉપર પ્રવચનો કરવામાં વધારે આગ્રહભર્યો ફાળો રહ્યો છે વયોવૃદ્ધ ગાંધીવાદી શ્રી શાંતિભાઈ સાઠંબારનો! સને ૧૯૬૬ ના માર્ચ-એપ્રિલના મહિનામાં થયેલા એમના પ્રથમ પરિચયથી માંડીને સને ૧૯૯૨માં એમના પાર્થિવ દેહનું નિધન થવા સુધીના વરસોમાં જ્યારે જ્યારે શાંતિભાઈ મળ્યા છે ત્યારે ‘શાંતસુધારસ'નું ગાન અને એનું વિવેચન....એમાં રહસ્યાયેલા જીવનમૂલ્યોનું રસપાન કર્યું છે.કરાવ્યું છે !
શાંતિભાઈ તો શાંતસુધારસના જાણે આશક હતા. મસ્ત ગાયક હતા...અને અદકેરા પ્રશંસક હતા. એમના પ્રાણોમાં શાંતસુધારસ સારી રીતે રમી ગયું હશે માટે જ એમની જીવનસંધ્યાની ક્ષિતિજ-પર શાંતસુધારસ અને ખાસ કરીને માધ્યસ્થ-ભાવનાના રંગો રેલાયા હતા ! એમનો આત્મભાવ શાંતસુધારસથી તરબોળ હતો. એમના ભત્રીજા તથા ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર વાડીભાઈ (ભરૂચવાળા) પણ શાંતસુધારસના તૃષાતુર અભિલાષક છે.
આ શાંતસુધારસ ગ્રંથને, એની ભાવનાઓને. એના શ્લોકોને શાસ્ત્રીય રાગોમાં શ્રુતિમધુર રીતે સ્વરબદ્ધ કરવાનો તથા સ્વરાંકિત કરીને વહેતા કરવાનો સફળ શ્રેય ઘાટકોપર, મુંબઈના સંગોઈ પરિવારના કેતન, કૌશિક તથા કલ્પના આ ભાઈબહેનની ત્રિવેણીને જાય છે. એમાંયે ગોવાલિયા ટેન્કમાં સને ૧૯૯૧ના ચાતુર્માસ દરમિયાન ૧૬ દિવસના શાંતસુધારસના ગાન મહોત્સવ દરમિયાન જે પ્રવચનો થયા, એ પ્રવચનો સુશ્રી કલ્પના સંગોઈએ અક્ષરાંકિત કરી લીધા અને આ પ્રસ્તુત પ્રવચનો કરવામાં - લખવામાં એ બધું પ્રબળ પરિબળ બની ગયું.
મદ્રાસની સુશ્રી પૂનમ એસ. મહેતાએ મારી ભાવના અને ઈચ્છા મુજબ પોતાના અંગ્રેજી ભાષાના શોધપ્રબંધના વિષય તરીકે શાંતસુધારસ ગ્રંથની પસંદગી કરી. ખૂબ મહેનત... ખંત અને લગનપૂર્વક અધ્યયન, મંથન કરીને મારા માર્ગદર્શન તળે મદ્રાસ વિશ્વવિદ્યાલયથી યશસ્વી રીતે “શાંતસુધારસ ઉપર શોધપ્રબંધ લખીને