________________
ૐ ૐ નમઃ જૈનમ જયંતિ શાસનમ
શ્રેણી ક્રમાંક-૩૭
અષ્ટપ્રકારી પૂજાળા રહસ્યો-૧૧
નવ અંગે પૂજાનો ઊપસંહાર:
જેમ ગટર ગંગામાં ભળે તો ગંગા બની જાય છે તેમ હું અપવિત્ર એવો છતે આપના અંગોના સ્પર્શી પરમપવિત્ર બની ગયો છું. વિશ્વના કોઈ પણ ખૂણે આપના અંગોની પૂજા થતી હોય તો તેની શું ભાવભરી અનુમોદના કરું છું.
- હું ભાવના ભાવું છું કે સમગ્ર વિશ્વ મારા નાથની પૂજામાં પ્રવૃત્ત થાઓ. ઘરેઘરમાં ભક્તિના ગીતો ગુંજી ઊઠે. સકલ લોકમાં મારા પ્રભુનો પ્રભાવ પ્રસરે. આપની પૂજાના પ્રભાવે આધિ, વ્યાધિ, ઉપાધિથી પીડિત સંસારી જીવોને શાતા વળે, સમાધિ મળે અને અંતે ચારિત્ર્ય રત્નની પ્રાપ્તિ કરી કેવલ્યની પ્રાપ્તિ કરે એજ અભ્યર્થના, મનોકામના, પ્રભુપ્રાર્થના.
ચંદનપૂજામાં ભગવાનને નવ અંગની પૂજા કરતી વખતે ભાવવાની ભાવનાની વાતો આપણે અગાઉના અંકમાં જોઈ. હવે બાકીની પૂજાઓ જોઈએ. (૩) પુષ્પપૂજા: સુરભિ અખંડ કુસુમ રહી, પૂજે ગત સંતાપ
સુમ જંતુ ભવ્ય જ પરે, માંગે સમકિત છાપ. પુષ્પપૂજામાં ઉપયોગમાં લેવાતા જીવો ઉપર ભવ્યત્વની છાપ જેમ લાગી જાય છે, તેમ છે, પ્રભો! મને પણ (સુમનસ્ - સારું મન) સમકિતની છાપ આપો.
ગૃહમંદિરમાં પૂજા કરતાં એક શેઠના બારેય વહાણ ડૂબી ગયાના સમાચાર આવતાં ખૂબ નાણાભીડ પડવા માંડી. માલણ ૬ મહિને દેશમાંથી આવી એને ખબર નહીં કે શેઠની પરિસ્થિતિ આટલી નબળી થઈ ગઈ છે. મહામહેનતે બે હાર ગુલાબના એણે શેઠને માટે તૈયાર ગૂંથી રાખ્યા (ભગવાનની પૂજા પૂજન કે મહાપૂજામાં શણગાર - (ડેકોરેશન) વગેરે બધી જગાઓમાં ફૂલોને સોયથી વિધવાના નથી પરંતુ તેમને ગૂંથવાના છે) અપ્રતિમ, સુંદર હાર લઈ હવે માલણ ઊભી રહી. શેઠ થોડું અટકયા અને પછી કશું બોલ્યા વગર આગળ ચાલ્યા ગયા. માલણ પણ વિચારે છે, શેઠે હાર કેમ નહીં લીધા? બાજુવાળાએ સઘળી વાત કરી કે શેઠ ઘસાઈ ગયા છે. માલણ હાર લઈને દોડી અરે, શેઠ! આપના પૈસાથી તો મારે ગામડે ખોરડું બંધાયું છે. હમણાંય મારા દીકરાના લગન કરીને આવી એમાં પણ આપનો જ પ્રતાપ છે. બસ! આજે આ એક હાર તો આપે ચડાવવાનો જ છે અને એક પણ પૈસો લીધા વગર શેઠને મહામહેનતે હાર આપીને ગઈ. શેઠ મનોમન રાજીના રેડ થઈ ગયા. ‘ભાવતું'તું ને વૈદે કીધું' એ ન્યાયે અષ્ટપ્રકારી પૂજામાં પણ અભુત ભાવો શેઠને આવ્યા. ગુલાબનો મનમોહક હાર ચડાવતા ચડાવતાં શેઠની આંખો આંસુથી છલકાઈ ગઈ. પૂજા પૂર્ણ થયે બહાર પ્રસ્થાન કર્યું અને શાસનદેવી પ્રસન્ન થયા. શેઠ આપની ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. માંગો જે માંગવું હોય તે માંગો. શેઠે તો કહ્યું બસ “ભવોભવ તુમ ચરણોની સેવા પ્રભુભક્તિ જ ઉત્તરોત્તર વધે તેવું કરી આપો.” શાસનદેવીએ કહ્યું, હું ખાલી હાથે પાછી ન જઈ શકે. ભક્તિ તો વધશે જ પણ કંઈક માંગવું તો પડશે જ. શેઠે અંતે નાછૂટકે પુષ્પપૂજાનું ફળ માંગ્યું. શાસનદેવી ખડખડાટ હસી પડયા કે આવડું મોટું ફળ આપવા હું અસમર્થ છું. શેઠે કહ્યું તો પછી એક ગુલાબના ફૂલનું જે ફળ થયું હોય તે આપો. શાસનદેવીએ ફરીવાર ના પાડી કે એ પણ મારા ગજાની બહારની વાત છે. શેઠે કહ્યું તો એક ગુલાબની ઘણી પાંદડીઓમાંથી એક પાંદડીનું જે પુણ્ય મળ્યું હોય તે આપી દયો અને શાસનદેવીએ જે જવાબ આપ્યો છે - આપણાં મનમંદિરને ભાવિત કરી દે તેવો છે. તેમણે શેઠને કહ્યું, “શેઠ! ૬૪ ઈન્દ્રો ભેગા થઈ સઘળી શક્તિ કામે લગાડે તો પણ આપની પુષ્પપૂજાની ૧ ગુલાબની ૧ પાંદડીનું પુણ્ય ન આપી શકે.