________________
ૐ ૐ નમઃ
જૈનમ્ જ્યતિ શાસનમ
શ્રેણી ક્રમાંક-૩૩
અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો-છ
અભિષેક કરતાં કરતાં સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના કરીએ અને પ્રભુને ભાવવાહી રીતે વિનવીએ કે
“જય તાત તું, જગ માત તારો બાળ હું તુજને સ્તવું, સવિ જીવ થાયે શીવ એવી ભાવના દિલમાં ધરું. તારી કૃપાએ ચૈત્યને પ્રતિમારૂપે પરમાણુઓ પરિણામ પામે શીઘ્રને એ ભાવના દિલમાં ધરું.”
નમણ જળ નાભિની નીચે ન લગાવવું. પગમાં ન આવે તે ધ્યાનમાં રાખવું. ઘરમાં અપવિત્ર સ્થાનોમાં ન છાટવું. પ્રક્ષાલ કર્યા પછી અંગપૂંછણાનું કામ પૂજારીને ન સોંપાય. ત્રણ અંગપૂંછણામાં પહેલું જાડું પછી પતલું અને ત્રીજું એનાથી પણ પતલું રાખવું. પહેલા કપડાંથી પાણી લૂંછવાનું. બીજાથી કાન, હાથના ખાડાવાળી જગ્યા પર બરાબર સાફ કરવાનું અને ત્રીજા અંગપૂંછણાથી ફરી સાફ કરી ભગવાનને ચમકીલા કરવાના. પાટલૂંછણું અલગ રાખવાનું. એનાથી પબાસણ વગેરે કોરા કર્યા પછી હાથ ધોઈ પછી અંગપૂંછણા હાથમાં લઈ હળવે હાથે અંગપૂંછણા કરવાના છે.
(૨) ચંદનપૂજાઃ શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુ મુખરંગ આત્મશીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ.
ચંદનપૂજા કરતા ભાવના ભાવવાની છે કે હે પરમાત્મન્! આપે આપના આત્મામાં શીતલતા પ્રસરાવી. હે મારા નાથ! મારો આત્મા તો વિષયકષાયની અગનજવાળાઓથી સળગી રહ્યો છે. માટે ચંદનની શીતલતા તને અર્પી હું આત્મિક શીતલતા, સૌરભતાની યાચના કરું છું. મારામાં ઉપશમભાવ અને પરોપકારભાવની શીતલતા પ્રગટે તેવી પ્રાર્થના કરું છું. પહેલાં વિલેપનમાં બરાસ ઘસવામાં આવતું. આજકાલ આ બરાસ બધા સિન્થેટિક આવે છે. તેથી ભગવાન ઉપર વિલેપન કરતી વખતે ભગવાનને ગરમ પડે છે. ઘણીવાર તેમાં ભળેલા કેમિકલ્સથી ભગવાન ઉપર લાંબાગાળે કાણા પડી જવાની પણ સંભાવના રહે છે. તેથી શુદ્ધ - ઓરિજીનલ બરાસ જ વાપરવું. અવેજીમાં માત્ર સુખડ ઘસીને પણ વાપરી શકાય. હવે કેસરથી નવઅંગે પૂજા કરવાની છે. કેસરમાં ડાયમંડના ગ્લાસથી જોઈએ તો ચોમાસામાં ભેજને હિસાબે નાની નાની જીવાતો ઘણીવાર દેખાતી હોય છે. તેથી ખાસ ઉપયોગ રાખી કેસર વાપરવું. ભીના હાથે કેસરને અડવું નહીં. વાટેલું કેસર નખમાં ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું તેમજ નખ એ આપણા શરીરનો એકજાતનો મળ છે. તેથી કેસરમાં આંગળી બોળતી વખતે નખ અડી ન જાય તેનો ખ્યાલ રાખવો.
સૌ પ્રથમ મૂળનાયકની પૂજા કરવી. કારણે અન્ય ભગવાનની પહેલા કરવી પડે તો કોઈ દોષ નથી. પણ વહેવારમાં પણ આપણે ઘરના વડીલને પહેલા પગે લાગીએ છીએ તેમ જ મૂળનાયક હોય એની પહેલા પૂજા કરી લેવી. (કોઈ કારણે કદાચ ન થઈ શકે તો - બે વાટકી રાખવી જેમાં મૂળનાયક માટે થોડું અલગ કેસર રાખી લેવું અને એ કેસરથી મૂળનાયકની પૂજા કરવી.
પંચધાતુને કે સિદ્ધચક્ર ભગવાનને પૂજા કર્યા પછી પણ અન્ય કોઈ મોટા ભગવાનની પૂજા કરવામાં દોષ નથી લાગતો. સિદ્ધચક્રના ગટ્ટામાં આવતા સાધુભગવંતને કારણે બધાને શંકા થાય છે કે તો પછી અરિહંતને કેવી રીતે પૂજી શકાય? પણ ખરેખર સાધુભગવંત એ નવપદજીના ભાગરૂપે છે. નવપદજી પોતે જ ભગવાનસ્વરૂપ છે. ખુદ તીર્થંકરો પણ નવપદજીનું ધ્યાન ધરીને તીર્થંકર બનતાં હોય છે તેથી સિદ્ધચક્ર ભગવાનને પૂજા કર્યા પછી મોટા ભગવાનની પૂજા કરવામાં કોઈ બાધ નથી.