________________
વચનામૃત પત્ર-૧ થી ૫૦૦
રોજનીશી નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે, અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે.
આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઈ; માનો કે ૪૦ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નીરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ-વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે, અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં, માત્ર દુઃખ સિવાય બીજું કંઈ દેખી શકીશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તો એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેણું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની..ના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના
ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખનો સમય હવે કયો કહેવો ? બાલાવસ્થા ? યુવાવસ્થા ? જરાવસ્થા ? નીરોગાવસ્થા? રોગાવસ્થા ? ધનાવસ્થા ? નિર્ધનાવસ્થા ? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા?
એ સર્વ પ્રકારની બાહા મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તો પણ સુખી.
આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
કળિકાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. જેનું હદય શુદ્ધ, સંતની બતાવેલી વાટે ચાલે છે તેને ધન્ય છે. સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે.
૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું.
૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિન નડશે, તથાપિ દઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.