________________
૩૪
દૃષ્ટાંત ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લા હતાં; નાના પ્રકારનો ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો.
એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદ્ગદિત થઈ એમ બોલ્યો -
“અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે ? જો વીંટી હોત તો તો એવી અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિજ્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યો. એ કાંતિ મારી ત્વચાની શોભા કરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો ! આ મહા વિપરીતતા છે ! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે? રુધિર, માંસ અને હાડનો જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પરપુગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે ! આત્મા
જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ના થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે ? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી