________________
૧૪૧
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક ૨૨. પ્ર. આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ?
ઉ. - આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ; તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્તવ્ય છે; અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી.
૨૩. પ્ર. દુનિયાનો પ્રલય છે ?
ઉ. પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમ કે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે છે એવો યોગ બને, અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તોપણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે; અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી.
૨૪. પ્ર. - અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે ?
ઉ. - ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી; અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી.
૨૫. પ્ર.- (૧) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા ? (૨) તેમને માનીને મોક્ષ ખરો ?
ઉ. (૧) બન્ને મહાત્માપુરુષ હતા, એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમ કે તેને વિરોધ આપતાં એવાં હજારો પ્રમાણ દષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય કેમ કે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો; અને અજ્ઞાનાદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે, અર્થાત્ ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે ? કેમ કે તે જાતે તો કંઈ કર્તાહર્તા ઠરી શકે નહીં. એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી; તો પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય ? તે બન્ને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ