________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
મહાત્મા શ્રી તીર્થંકરે નિગ્રંથને પ્રાપ્તપરિષહ સહન કરવાની ફરી ફરી ભલામણ આપી છે. તે પરિષહનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં અજ્ઞાનપરિષહ અને દર્શનપરિષહ એવા બે પરિષહ પ્રતિપાદન કર્યા છે, કે કોઈ ઉદયયોગનું બળવાનપણું હોય અને સત્સંગ, સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિમ્મત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય, તોપણ ધીરજ રાખવી; સત્સંગ, સત્પુરુષનો યોગ વિશેષ વિશેષ કરી આરાધવો; તો અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે; કેમ કે નિશ્ચય જે ઉપાય છે, અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે, તો પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કોઈ તેને આધાર નથી. તે તો જે જીવને સત્સંગ, સત્પુરુષનો યોગ થયો છે અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયોજન છે, તેને ક્રમે કરી ટળવા જ યોગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુજીવે ધીરજથી સહન કરવું, એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષહ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે બેય પરિષહનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષહનું સ્વરૂપ જાણી સત્સંગ, સત્પુરુષના યોગે, જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવો નિશ્ચય રાખી, યથાઉદય જાણી, ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે; પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી, કે સત્સંગ, સત્પુરુષના યોગે પ્રમાદ હેતુએ વિલંબ કરવો તે ધીરજ છે, અને ઉદય છે, તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યોગ્ય
છે.
૧૨૫
શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.
૫૩૭
સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
૫૩૯