________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
૧૧૫
“જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે-પ્રસંગે વિચારવામાં જો સચેતપણું ન રાખવામાં આવ્યું તો આવો જોગ બન્યો તે પણ વૃથા છે.”
૪૭૯
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગસૂત્ર વીર્ય અધ્યયન)
જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની એવો આ જીવ તે મમતા કરે છે. અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. (સૂયગડાંગ-પ્રથમાધ્યયન) ૪૮૬
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા:
“હે જીવો ! તમે બૂઝો, સમ્યક્ પ્રકારે બૂઝો. મનુષ્યણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સદ્વિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને ‘સર્વ જીવ’ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (સૂયગડાંગ-અધ્યયન ૭ મું, ૧૧)
સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)
સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ ‘અમારા' આત્માને વિષે ઉત્પન્ન થતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે, ‘સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.' માત્ર જ્ઞાનીપુરુષો, મુમુક્ષુપુરુષો કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.
૪૯૧
અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુજીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે.
વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા.
૪૯૨