________________
વાંચનારને ભલામણ,
વાંચનાર ! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નાપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્ત્વને હૃદયમાં ધારણ કરજો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારજો; એમ કરશો તો તમે શાન, ધ્યાન, નીતિ, વિવેક, સણ અને આત્મશાંતિ પામી શકશો.
તમે જાણતા હશો કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યો નહીં વાંચવા યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે.
તમે જે પુસ્તકો ભણ્યા છો, અને હજુ ભણો છો, તે પુસ્તકો માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તો ભવ પરભવ બન્નેમાં તમારું હિત કરશે; ભગવાનનાં કહેલાં વચનોનો એમાં થોડો ઉપદેશ કર્યો છે.
તમે કોઈ પ્રકારે આ પુસ્તકની આશાતના કરશો નહીં, તેને ફાડશો નહીં, ડાઘ પાડશો નહીં કે બીજી કોઈ પણ રીતે બિગાડશો નહીં. વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષોએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.
તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેની ઇચ્છા હોય તો આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમે જે વાતની ગમ પામો નહીં તે ડાહા પુરુષ પાસેથી સમજી લેજો. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશો નહીં.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરોપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અહંતુ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
- શ્રીમદ્ રાજચંદ્ર