________________
૭૪
અમૃતવેલની સજઝાય થાય છે ત્યારે ત્યારે પ્રથમ દ્વિબંધક થાય, ત્યારબાદ સકૃબન્ધક થાય અને ત્યારબાદ અપુનર્બન્ધક થાય. જ્યારે અપુનર્બન્ધક થાય અને સમ્યકત્વ પામવાને અભિમુખ થાય ત્યારે નીચે મુજબના ત્રણ ગુણો ખાસ પ્રગટે છે.
(૧) આ જીવ સંસારી હોવાથી અને મિથ્યાત્વી હોવાથી સર્વથા પાપો ત્યજી શકતો નથી. પાપ તો કરે જ છે અને ઘરસંસારના કારણે પાપ કરવાં પણ પડે છે પરંતુ તેનું પોતાનું મન તેમાં ભળેલું હોતું નથી. અનિવાર્ય સંજોગોની આધીનતાથી કરે છે. પણ રાચી-માચીને પાપ કરતો નથી, એટલે કે પાપકાર્યો કરતી વખતે તીવ્ર આસક્તિભાવ હોતો નથી, જે પાપકાર્યો કરવા પડે છે તેનો પણ ખેદ વર્તે છે. “અરે મારે આવાં પાપો કરવાના આ દિવસો ક્યાં આવ્યા? ક્યારે હું આવા પાપકાર્યોમાંથી છુટીશ? સંસારની જવાબદારીમાંથી હું ક્યારે મુકાઈશ? આવી પાપમુક્ત થવાની ભાવના હોય છે. તેથી મહાપાપો તો તે કરતો જ નથી, મહાપાપોવાળા જીવોથી તો આ દૂર જ રહે છે. લઘુપાપો કરવાં પડે છે. અને કરે છે તેમાં પણ ઘણું દુખ હોય છે. તેઓમાં આસક્તિનો અભાવ આ જ મોટો ગુણ છે. પાપ કરવા છતાં તેમાં રાચવું-નાચવું નહીં, આનંદ માણવો નહીં તે આ જીવનો ગુણ છે. તેની હે જીવ! તું અનુમોદના કર.