________________
(૪) દુનિયામાં ફરનારો સંસારમાં રખડે
વ્રતનું બરોબર દૃઢતાપૂર્વક પાલન કરવાનો પુરુષાર્થ જોઈએ. ગમે તેવા કપરા સંયોગોમાં પણ વ્રતભંગ ન થઈ જાય, કોઈ અતિચાર લાગી ન જાય તે માટે જાગ્રત રહેવું જોઈએ.
આ વ્રતનું પાલન કરવાથી લોભ કંટ્રોલમાં આવે છે. સંતોષગુણની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જેણે દિશાની મર્યાદા કરી તેણે આખા સંસાર ઉપર આક્રમણ કરતા અને ચારે તરફ પ્રસાર પામતા લોભરુપ સમુદ્રને પણ સ્ખલના પહોંચાડી છે. આ લોભ રુપ સમુદ્ર જાત જાતની કલ્પનાઓ કરવાથી પ્રસાર પામે છે. તે આખા સંસારને દબાવે છે; કારણ કે જે લોભને આધીન થાય તેને આ સંસારની કઈ કઈ ઈચ્છાઓ ન થાય ? ઈંદ્ર, ચક્રવર્તી વગેરે દરેક પદો મેળવવાની તેને સ્પૃહા થવા લાગે છે.
-
આ લોભ રુપી સમુદ્રના પ્રસારને અટકાવવાનું કાર્ય જેણે આ દિશી પરિમાણવ્રત લીધું હોય તે જ કરી શકે છે. કેમ કે આ વ્રત લેનાર વ્યક્તિ પોતે નક્કી કરેલ મર્યાદાથી આગળ જવા ઈચ્છતો નથી. અને તે સીમાની બહાર રહેલાં સોનું – રુપું – ઝવેરાત, ધન ધાન્ય વગેરેનો લોભ પણ પ્રાયઃ કરતો નથી. જેણે આવું દિશીપરિમાણનું વ્રત લીધું હોતું નથી તે માણસ તો લોભ રખડાવે ત્યાં રખડે છે. ભટકાવે ત્યાં ભટકે છે અને તે રીતે પોતાનું જીવન બરબાદ કરે છે.
ચંપાનગરીમાં ભાનુ શેઠને ચારુ દત્ત નામનો સંસ્કારી પુત્ર હતો. યુવાનવયે સુલક્ષણી કન્યા સાથે લગ્ન કરાવવા છતાં ય બાળપણથી વૈરાગી તે પોતાની પત્નીથી પણ દૂર રહેતો હતો. તેથી ચિંતાતુર બનેલા પિતાએ જ તેને સંસાર ચતુર બનાવવા ગણિકાના ત્યાં મૂક્યો. ખરેખર તો તેને પરણાવવાની જ જરૂર નહોતી. તેના વૈરાગ્યને પુષ્ટિ મળે તેવું વાતાવરણ આપવાની જરૂર હતી. સાધુજીવન સુધી પહોંચાડવાની જરૂર હતી, પણ માતા – પિતા પોતાની ફરજ ચૂક્યા. પરિણામ ભયંકર આવ્યું.
વેશ્યાના રંગરાગમાં તે ફસાઈ ગયો. ગણિકાના ઘરે ગયો તે ગયો. પોતાની પત્ની, માતા - પિતા, પરિવાર; બધાને ભૂલી ગયો. કુળની આબરૂની પણ તેણે પરવા ન કરી. એક - બે નહિ, બાર - બાર વર્ષ પસાર થઈ ગયા. ઘણા તહેવારો – પ્રસંગો આવી ગયા, પણ બોલાવવા છતાં ય તે પોતાના ઘરે પાછો ન આવ્યો. તેને પોતાના સુખ – સાહ્યબી – સ્વર્ગ – મોક્ષ વગેરે બધું જ તે વેશ્યાના તન – બદનમાં જણાતું હતું. તે તેમાં પાગલ હતો.
૩૪ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨
-
.