________________
તિર્યંચગતિમાં જીવે કેવી કેવી રીતે ભટકવું પડે છે? લગ્નજીવન પણ કેવું બંધન છે? તેમાં બંધાયેલાની હાલત કેટલી બધી દયામણી કે દુઃખી બને છે! વગેરે બધી વાતો સિંહશ્રેષ્ઠીએ અનેક દાખલા - દલીલો સાથે સચોટ રીતે સમજાવી.
કોઈ દિવસ નહિ સાંભળેલી આવી વાતો કુમાર રસપૂર્વક સાંભળતો હતો. દલીલો તેના મન ઉપર ધારી અસર કરતી હતી. દષ્ટાંતો તે તે વાતને બરોબર પુષ્ટ કરતાં હતા. પરિણામે તે રાજકુમારને સંસારની અસારતા બરોબર સ્પર્શી ગઈ. તે મનમાં મહાવૈરાગી બની ચૂક્યો. લગ્નના બંધનમાં નહિ જકડાવાનો નિર્ણય પણ તેણે કરી દીધો!
પ્રયાણ ચાલું હતું. કેટલાક દિવસો પછી ૧૦૦ યોજના પૂર્ણ થવા આવ્યા. સિંહશ્રેષ્ઠી પોતાની પ્રતિજ્ઞાથી ચલિત થવા જરા ય તૈયાર નહોતા. લીધેલા વ્રતનું પૂર્ણપણે પાલન કરવા તેઓ મક્કમ હતા. તેમણે રમણીય વનપ્રદેશમાં મુકામ કરવા પ્રયાણ સ્થગિત કર્યું.
મંત્રીઓ, સેનાધિપતિ, સૈનિકો વગેરે એમ સમજ્યા કે આપણા નગરથી નીકળ્યાને ઘણા દિવસો થયા હોવાથી વિશ્રામ લેવા આ રમણીય પ્રદેશમાં જાનને રોકી લાગે છે.
પરન્તુ, બે દિવસ ગયા. પ્રયાણનો અણસાર પણ જણાતો નથી. વિચારમાં પડી ગયા. ચાર દિવસ પણ એમને એમ પસાર થઈ ગયા. સિંહશ્રેષ્ઠી પ્રયાણ માટે આજે આદેશ આપશે, કાલે આદેશ આપશે, તેવા વિચારમાં મંત્રીઓ રાહ જુએ છે, પણ પાંચમો દિવસ પસાર થવા છતાં ય પ્રયાણ કરવાનો કોઈ આદેશ સિંહશ્રેષ્ઠી તરફથી ન મળ્યો. તેઓ તો રાજકુમાર ભીમદેવ સાથે સતત ધર્મચર્ચામાં જ રચ્યા પચ્યા રહેતાં હતા. હવે શું કરવું? સેનાધિપતિ તથા મંત્રીઓ અકળાયા. પરસ્પર મસલત કરીને તેમણે રાજકુમારને એકાંતમાં બોલાવીને કહ્યું,
કુમાર ! આપણે જ્યારે વસંતપુરનગરથી પ્રયાણ કર્યું તે પૂર્વે તમારા પિતાશ્રીએ અમને કહ્યું હતું કે, “આ સિંહશ્રેષ્ઠીને ૧૦૦યોજનથી દૂર ન જવાનો નિયમ છે. તેથી કદાચ તેઓ રસ્તામાં અધવચ્ચે પ્રયાણ અટકાવી દે તો પણ તમારે અટકવું નહિ. જરૂર પડે તો સિંહ ઉપર બળજબરી કરીને પણ આગળ વધવું. અરે ! છેવટે દોરડાથી બાંધીને, સાથે લઈને નાગપુર તરફ પ્રયાણ કરવું. જે કાંઈ કરવું પડે તે બધું જ કરીને જલ્દીથી જલ્દી નાગપુર પહોંચવું. તમે મારી આ આજ્ઞાનો અમલ નહિ કરો તો મારે તમને સજા કરવી પડશે. માટે તે કુમાર! આ શ્રેષ્ઠીને બાંધીને, રથમાં નાખીને આગળ વધીએ તો કેમ?”
જ જ ૨૬ જ વ્રત ધરીયે ગુરુ સાખ-ભાગ - ૨