________________
આપને વિનંતિ કરું છું કે આપ આપના પુત્ર માટે અમારી કન્યાનો સ્વીકાર કરો. તેથી રાજકુમારી ગુણમાળાને સુયોગ્ય પતિ મળશે. મહારાજ નાગચંદ્ર સાથેના આપના સંબંધો વધુ ગાઢ થશે. અને મારું દૂતપણે સફળ થશે. તેથી રાજકુંવરીને વરવા માટે કુમારને અમારી સાથે જ મોકલો તો સારું.”
દૂતના મધૂરવચનો સાંભળીને ખુશ થયેલા રાજાએ યોગ્ય કરવાનું આશ્વાસન આપીને તેના આવાસે મોકલ્યો, પછી સિંહશ્રેષ્ઠી સામે જોઈને કહ્યું,
“સિંહ! નાગપુરનરેશ સાથે આપણો સંબંધ બંધાય, વધુ ગાઢ બને તેમ હું પણ ઈચ્છું છું. તેથી તું ભીમદેવને લઈને નાગપુર જા અને ત્યાંની કુમારી સાથે તેના લગ્ન કરીને આપણા સંબંધને વધુ મજબૂત કર.”
આ શબ્દો સાંભળતાં શેઠ વિચારમાં પડી ગયા. તેઓ પાપભીરુ હતા. આવાં સાંસારિક લગ્નકાર્યમાં પડવાની તેમની ઈચ્છા નહોતી. વળી પોતાના વ્રતને બાધ આવે તેવી શક્યતા ઊભી થઈ હતી. જો હા ન પાડે તો રાજા તરફથી પણ ભય ઊભો હતો... શું કરવું? શું ન કરવું? તેની મુંઝવણમાં તેઓ જમીન ઉપર દૃષ્ટિ સ્થિર કરીને મૌનપણે બેસી રહ્યા.
રાજાને આશ્ચર્ય થયું. “આમ કેમ? સિંહનું આવું વર્તન આજે ક્યાંથી? કાંઈ સમજણ પડતી નથી. તેણે સિંહને પૂછ્યું. “મિત્ર ! તું મૌન કેમ છે? નાગપુર નરેશ સાથે આવો સંબંધ બાંધવો શું તને યોગ્ય લાગતો નથી?”
અત્યંત નમ્રપણે સિંહે કહ્યું, “રાજાજી ! એવી કાંઈ વાત નથી, પણ મારી પોતાની તકલીફ છે. હકીક્ત એવી છે કે ગુરુ ભગવંત પાસે મેં બારવ્રત ઉચ્ચર્યા છે. તેમાં છઠ્ઠા દિક્પરિમાણવ્રતમાં ૧૦૦ યોજનથી વધારે દૂર નહિ જવાનું નક્કી કરેલ છે.
આપે મને નાગપુર જવાની વાત કરી, તે અહીંથી સવાસો યોજન દૂર છે. તેથી જો હું નાગપુર જાઉં તો મારા વ્રતનો ભંગ થાય; માટે હું કુમારના લગ્નમાં જઈ શકે તેમ નથી; વળી રાજન્ ! આવાં સાંસારિક કાર્યમાં મારા જેવાને આજ્ઞા ન કરાય તો સારું.”
સિંહશ્રેષ્ઠીના શબ્દો શિષ્ટ અને વિનયી હોવા છતાંય સત્તાના કેફમાં મસ્ત બનેલાં રાજાને પોતાની ઈચ્છા પૂરી ન થતી જણાવાથી ભયાનક ગુસ્સો આવ્યો. રોષથી ધમધમતાં તેણે કહ્યું. “સિંહ! મારી સાથે તારી આટલી જ મૈત્રી! મારા હૃદયમાં તારા માટે આજ સુધી કેટલું બધું માન અને કેટલો બધો વિશ્વાસ હતો કે જેના કારણે હું તારામાં મારું જ રૂપ જોતો હતો ! જ્યાં મારે જવાનું હોય ત્યાં પણ મારા પ્રતિનિધિ રૂપે તને મોકલતો હતો. શું તું મને હજુ સમજી નથી શક્યો? ના પાડતાં તારી જીભ કેમ ઊપડી? તું તો જાણે કે મારો પણ માલિક હોય તેમ બોલે છે!
વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨