________________
શૃંગારસુંદરીને જગાડીને સ્વપ્નની વાત કરીને કહ્યું, “હે પ્રિયે ! જો આ ઘર પણ સંપત્તિથી ઉભરાયેલું દેખાય છે, તેથી સ્વપ્નની વાત સાચી પડેલી જણાય છે.”
શૃંગારસુંદરી પણ આ વાતો સાંભળીને અને નજરોનજર પુષ્કળ સંપત્તિના ભંડારોને જોઈને આશ્ચર્ય પામી. તેના મનમાં ખાતરી થઈ ગઈ કે પુણ્યના પ્રભાવે હવે લક્ષ્મીજી અહીં જ સ્થિર થઈ ગયા છે. તેઓની હવે અહીંથી અન્યત્ર જવાની કોઈ શક્યતા નથી. તેના મનમાં આનંદ થયો.
પણ... વિદ્યાપતિનો અંતરાત્મા હવે અત્યંત જાગી ગયો હતો. ધર્મનો જીવતો જાગતો પ્રભાવ જાતે અનુભવીને તે વિશિષ્ટ શ્રદ્ધાળુ બની ગયો હતો. તેણે કહ્યું, “હે સુંદરી !રોજ રોજ સંપત્તિનું દાન કરતા રહીશું ને રોજ રોજ નવી નવી સંપત્તિ આપણને પ્રાપ્ત થયા કરશે. તેમ થતાં તો આપણને દાનનું વ્યસન પડી જશે. દાનનું વ્યસન સારું છે, પણ તપશ્ચર્યા તો તેથી ય વિશેષ જરૂરી છે. તેનાથી શરીર ઉપર અસર થાય છે, સાથે સાથે આત્મામાં રહેલાં કુસંસ્કારો પણ ઘસાય છે. પરંતુ આપણે તો ધનસમૃદ્ધિ વચ્ચે તપશ્ચર્યા ચૂકી જઈશું.
વળી આ મન તો ચંચળ છે. લાલચું છે. કદાચ તે વધુ ધન જોઈને લલચાઈ જાય તો મારું પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત તુટી જાય. ના.. ના.. એ તો કોઈ રીતે ન પોષાય. તેથી મને લાગે છે કે આપણે આ વૈભવભરપૂર ઘર છોડીને દૂર દૂર કોઈ ગામડામાં ચાલ્યા જઈએ અને આ લક્ષ્મીની મોહમાયામાંથી મુક્ત બનીએ.”
પોતાના પતિની ધર્મપ્રિયવાણી સાંભળીને શૃંગારસુંદરીને ઘણો આનંદ થયો. તેણે પણ પતિની વાતમાં સંમતિ આપી. પોતાના ગૃહમંદિરમાં રહેલી તીર્થકર પરમાત્માની ભવ્ય પ્રતિમાને બહુમાનપૂર્વક કરંડીયામાં પધરાવી. શૃંગારસુંદરીએ તે કરંડીયો પોતાના મસ્તક પર મૂક્યો. પછી નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં બંને જણ ઘરમાંથી નીકળીને નગર બહાર જવા આગળ વધ્યા.
પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલી ભરપૂર સંપત્તિને પણ તેમણે લાત મારી દીધી. આવતીકાલે શું ખાશું? શું પીશું? તેની જરા ય ચિંતા રાખી નથી. ધર્મ પ્રત્યે ઉછળતો અહોભાવ અને પૂર્ણશ્રદ્ધા તેમના રોમરોમમાં વહી રહી હતી. ધીમે પગલે બંને જણ નગરના પૂર્વદિશાના દ્વાર તરફ આગળ વધી રહ્યા હતાં.
પૂર્વના દિવસે જ તે નગરના રાજા શૂરનું શૂળરોગથી મરણ થયું હતું. તે રાજાને કોઈ પુત્ર નહોતો. હવે પછી તે નગરનો રાજા કોને બનાવવો? તે બધાની ચિંતાનો વિષય હતો.
છેવટે મંત્રીઓએ મળીને નિર્ણય કર્યો કે આપણે આપણા પટ્ટહસ્તિની સૂંઢમાં છે
. વ્રત ધારીયે ગુરુ સાખ - ભાગ - ૨
ખાસ સમાજ
છે