________________
૧૭
મિત્ર નચ્છનું ઘર
લંડનનો એ વિભાગ ખખળી ગયેલી શેરીઓનો અને તેથી વધુ ખખળી ગયેલાં મકાનોનો લત્તો છે. તેમાં રહેનારાં માણસો પણ બધી રીતે એવાં જ ખખળી ગયેલાં છે; પણ હજુ તેઓ જુદી જુદી રીતે પોતાની જાતને શારીરિક શ્રમ કરતા મજૂરો કરતાં ઉપરના થરની માનવા અને દેખાડવા પ્રયત્ન કરે છે.
દરેક મકાનના બારણા ઉપર હવે અંદર નાના નાના ઓરડામાં અલગ અલગ રહેનાર અનેક ભાડવાતોના નામની તખતીઓ કે તેમનો ઘંટ વગાડવાની કળોના હાથા છે. બારણાં બહાર રમતાં તેમનાં છોકરાં કે જીવડાં અને ધૂળધમાં ચૂગતાં મરઘા-બતકાંના હાલહવાલ પણ એવા જ કંગાળ છે. દરેક માળના દાદરના ખૂણાઓ ભરીને પડી રહેતા માલસામાનનો ભંગાર પણ અંદરના કમરાઓમાં રહેનારાની ભંગાર સ્થિતિનો પૂરેપૂરો સૂચક છે.
એવા એક કંગાળ ઘરના છાપરા નીચેના છેક ઉપરના કબૂતરખાનામાં ત્રણ વસવાટ હતા; –ના, ના, એમાંના એક વસવાટની ‘ભાડે આપવાનો છે એવી જાહેરાત છેક શેરી ઉપરના બારણા આગળ હજુ લટકાવેલી જોવા મળતી હતી.
બાકીના બે વસવાટોમાંના એકનો રણીધણી ભાડવાત પોતાની કટાયેલી ચાવી વડે બારણું ઉઘાડી અંદર પેઠો, અને પછી અંધારામાંથી મીણબત્તીનું પૂંઠું શોધી કાઢી, તેણે જોડેના વસવાટની પાતળી પડદી ઉપર થોડો થપથપાટ કરીને પૂછયું, “મિ૦ નૉઝ, દીવો સળગાવ્યો છે કે?”
૯૪