________________
પંચસૂત્ર ભીમકા
: ૨૫ :
એકાદનગરમાં મહામુનિ પધાર્યા. એમની દેશના સાંભળી બંને વૈરાગ્યવાસિત બન્યા. પુંડરીક કંડરીકને કહે છે ‘ભાઈ ! તું આ રાજ્ય સંભાળ, હું ચારિત્ર લઈશ.' કંડરીક કહે ‘મોટા ભાઈ ! ચારિત્ર તો મારે જ લેવું છે. તમે તો રાજ્ય સંભાળતા પણ વૈરાગ્ય ટકાવી શકશો, અને પછી ય ચારિત્ર લઈ શકશો, ત્યારે હું તો જો રાજ્યમાં પડ્યો તો પછી વૈરાગ્યને મહા જોખમ. પછી કાંઈ આ જિંદગીમાં ચારિત્રનો પુરુષાર્થ થાય નહિ. માટે મને તો હમણાં જ લેવા દો.’
પુંડરીકને લાગ્યું કે એ ઠીક કહે છે, તેથી રજા આપી. કંડરીકે સિંહના જેવા પરાક્રમથી ચારિત્ર લીધું અને એ રીતે પાળવા માંડ્યું. એક હજાર વર્ષ સુંદર તપસ્યાઓ પણ કરી !
હવે દૈવયોગે કંડરીકમુનિ માંદા પડ્યા ! ગુરુ સાથે વિહાર કરતા કુદરતી એ પુંડરીકના નગરમાં આવ્યા છે. ગુરુને રાજા વિનંતિ કરે છે કે ભાઈની ચિકિત્સા અહીં જ કરાવો અને જે કાંઈ અનુપાનાદિ જોઈએ તેનો લાભ મને આપો. મારે રસોડું મોટું છે, એટલે બધું નિર્દોષ મળશે.' ગુરુએ સ્વીકાર્યું. કંડરીક મુનિ ઔષધ પ્રયોગથી સાજા તો થઈ ગયા, પણ દરદની દીનતા-પર હવે રાજવી માલમશાલાનો ચટકો લાગવાથી વધુ દીન બન્યા ! તે હવે વિહાર માટે તૈયાર નથી થતા. ગુરુએ સમજાવ્યા છતાં ખાવાની દાઢમાં એવા નિઃસત્ત્વ રાંકડા મનવાળા થઈ ગયા કે ગુરુ પરિવાર સાથે વિહાર કરી જવા છતાં પોતે ત્યાં જ એકલા રહ્યા !
રાજા પુંડરીકે જોયું કે મામલો બગડ્યો છે, તેથી કંડરીક પાસે આવી મધુર શબ્દોમાં કહે છે, ‘મહારાજ ! આપે તો કામ સાધ્યું, અને અમે કીચડમાં પડ્યા છીએ. છતાં અમને વૈયાવચ્ચનો સુંદર લાભ આપ્યો, એ અહોભાગ્ય અમારા ! ફરીથી પણ પાછા ગુરુ મહારાજને લઈને પધારજો, લાભ આપજો !'
વિહાર અને સાધુતાની સામાન્ય ગોચરીના કાયર અને દીનહીન બનેલા કંડરીક મુનિને જવાની ઈચ્છા નહોતી, પણ હવે મોટાભાઈ રાજા ગર્ભિત સૂચન કરે છે કે ‘સિધાવો અહીંથી,’ એટલે શરમના માર્યા ત્યાંથી વિહાર તો કરવો પડ્યો; પરંતુ મન મીઠા સ્નિગ્ધ રસનું લાલચુ અને તેથી દીન કંગાલ બનેલું, તે થોડા વખતમાં એકલા પાછા આવ્યા નગરના ઉદ્યાને ! માળીના ખબર આપવાથી રાજા ગભરાઈને ઝટપટ આવ્યો. દેદાર જોતાં સમજી ગયો ‘છતાં સ્થિરીકરણ ઉપબૃહણાપૂર્વક કરવું' - એવા શાણપણથી મુનિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરી કહે છે ‘ભાગ્યવંતા છો, દીર્ઘકાળના સંયમી ! બ્રહ્મચારી ! મહાતપસ્વી ! કેવા પરાક્રમી કે રાજશાહી વિષયોના બંધન ફગાવી દઈ મોહના ફુરચા ઉડાવી રહ્યા છો ! હવે ગુરુમહારાજ પાસે જ જશો ને ?' કંડરીક મુનિ બોલતા નથી.