________________
નિરાશાને આપણી શક્તિના બળથી પરાણે હાંકી કાઢવાની રીતમાં મનને બહુ શ્રમ પડે છે, છતાં તે ઘણી અસરકારક છે. તેમાં તીવ્ર ઇચ્છાશક્તિ ને નિશ્ચયાત્મક મનોબળની જરૂર પડે છે. સામાન્ય લોકોની શક્તિ બહારની આ વાત છે. ત્યારે નકારાત્મક અધમ વિચારોને દૂર કરવા માટે તેના પ્રતિપક્ષી ઉન્નત વિચારોનું સેવન કરવું એ સહેલું છે. આથી ઘણા થોડા સમયમાં અનિચ્છનીય વિચારો મનમાંથી દૂર હટી જશે. આને અમલમાં મૂકી જુઓ. થોડો સમય નિષ્ફળતા મળે તો પણ હિંમત હારી નહિ. થોડા પ્રયાસે તમે જરૂર સફળ થવાના જ.
આ જ પ્રમાણે તમે બીજા નકારાત્મક વિચારો ને લાગણીઓને પણ દૂર કરી શકો. જો ક્રોધના આવેશ આવ્યો હોય તો પ્રેમનો વિચાર કરો. જો ઇર્ષાના વિચારો આવતા હોય તો દયા ને ઉદારતાના વિચારોને મનમાં સ્થાન આપો. જો નિરાશા છવાતી હોય તો થોડા સમય અગાઉ તમે જોયેલ કોઈ ભવ્ય કુદરતી દૃશ્ય અથવા પ્રેરણાજનક લખાણનો વિચાર કરો. - જો તમારું હૃદય કઠોર હોય તો દયાનો વિચાર કરો. જો કામવાસના હોય તો બ્રહ્મચર્યના ફાયદાઓનો વિચાર કરો. જો અપ્રમાણિક્તાનો વિચાર આવે તો સત્ય ને પ્રમાણિક્તાનો વિચાર કરો. જો લાભ ઉત્પન્ન થાય તો દાન ને દાનવીર પુરુષનો વિચાર કરો.
મોહના આવેશમાં વિવેક ને આત્માનો વિચાર કરો. અભિમાન આવતાં નમ્રતાનો વિચાર કરો. દંભ વખતે તેના વિરોધી સરળતા ને નિષ્કપટતા તેમજ તેના મહાન ફાયદાઓનો વિચાર કરો. ઇર્ષા થાય ત્યારે ઉદારતા ને મહાનુભાવતા બતાવો. ભયને સમયે હિંમત રાખો.
આવી રીતે તમે બધા નકારાત્મક હલકા વિચારોને દૂર કરી મનને ઉન્નત બનાવી શકશો. પણ આમાં સતત અભ્યાસની જરૂર છે. તમારા મિત્રોની પસંદગીમાં પણ ખૂબ સાવચેત રહો. વગર પ્રયોજને બોલ બોલ કરો નહિ. માત્ર જરૂર પૂરતું જ બોલો. ૨. મનમાં ઘૂસી ગયેલા વિચારો પર વિજય
વિચાર પર કાબૂ મેળવવાના પ્રયાસમાં શરૂઆતમાં તો ખૂબ મુશ્કેલી નડશે. તમારે તેમની સામે ઝઝૂમવું પડશે. તેઓ પોતાનો અડ્ડો જમાવી રાખવા માટે પોતાથી બનતું બધું કરશે. તેઓ કહેશે, “મનનો આ પ્રદેશ અમારી જન્મભૂમિ છે. તેના પર અમારો એકલાનો જ અનાદિ કાળથી