________________
શહેરના ગરીબ ગંદા લત્તામાં જન્મેલા એવા ઘણા દુનિયામાં શ્રેષ્ઠ પદે પહોંચ્યા છે. તેઓએ રાજનીતિ, સાહિત્ય, સંગીત, ઇત્યાદિ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા મેળવી ખૂબ કીર્તિ સંપાદન કરી છે. તેઓની પ્રખર બુદ્ધિનો પ્રકાશ દુનિયાને માર્ગદર્શક દીવાદાંડી રૂપ નીવડ્યો છે. આનું કારણ શું?
સર ટી. મુથુસ્વામી આયર જે મદ્રાસની હાઈકોર્ટના પ્રથમ હિંદુ ન્યાયાધીશ હતા. તે તદ્દન ગરીબ હતા. તે રાત્રે મ્યુનિસિપાલિટીની બત્તીએ વાંચતા, તેમને ખાવાને પૂરતો ખોરાક પણ ન હતો. તેમનાં વસ્ત્રો પણ ચીંથરા જેવાં હતાં. તેમણે ખૂબ પ્રયાસ કર્યો અને મહાન થયા. પોતાની તીવ્ર લોખંડ જેવી ઇચ્છા ને નિશ્ચયશક્તિથી પોતાના સંજોગો પર પગ મૂકીને ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું.
પશ્ચિમમાં મોચી ને મચ્છીમારોના દીકરાઓ પણ ઘણા ઊંચા સ્થાને પહોંચ્યાના દાખલા છે. જે શેરીમાં બુટપોલીશનું કામ કરતા, પીઠામાં દારૂ વેચતા અથવા હોટલમાં રાંધતા એવા લોકો પ્રસિદ્ધ કવિઓ અને શક્તિશાળી સાહિત્યકારો બની શક્યા છે.
જોન્સન તદ્દન વિરોધી વાતાવરણમાં ઊછર્યો હતો. ગોલ્ડસ્મિથની વાર્ષિક કમાણી માત્ર ૪૦ પાઉન્ડની જ હતી. સર વોલ્ટર સ્કોટ પણ ઘણો ગરીબ હતો. તેને રહેવાને સ્થાન જ ન હતું. જેમ્સ રાસે મેકડોનાલ્ડનું જીવન પણ નોંધપાત્ર છે, કેમ કે તે પુરુષાર્થથી ભરપૂર છે. તદ્દન ગરીબ મજૂરીની સ્થિતિમાંથી તે બ્રિટનના પ્રધાનમંત્રીના ઉચ્ચસ્થાને પહોંચ્યો. અઠવાડિયાના ૧૦ શિલિંગના મહેનતાણાથી તે કવર પર સરનામાં લખવાનું કામ કરતો (હાલના વસ પૈસા). તેની પાસે ચા ખરીદવા જેટલા પણ પૈસા ન હતા. તેથી તે ચાને બદલે પાણી પીતો. માત્ર રોજના ત્રણ આના (વીસ પૈસા)ના ત્રણ સાદા હલકા ખોરાક પર તેણે મહિનાઓ કાઢયા હતા. તે એકી સાથે શિક્ષક-શિષ્યનું કામ કરતો. રાજનીતિ ને વિજ્ઞાનમાં તેને અનહદ રસ હતો. તે છાપાનો તંત્રી પણ હતો. પ્રબળ પુરુષાર્થથી તે પ્રધાનપદે પહોંચ્યો હતો.
અદ્વૈત વેદાંતના મહાન પ્રચારક શ્રી શંકરાચાર્ય ગરીબ કુટુંબ ને પ્રતિકૂળ સંજોગોમાં જન્મ્યા છતાં બૌદ્ધિક ને આધ્યાત્મિક શક્તિમાં વિરાટ જેવા હતા. આના જેવા હજારો દાખલા છે. આથી સ્પષ્ટ રીતે દેખીતું છે કે ગમે તે પ્રતિકૂળ સંજોગો હોય છતાં ખંત, ઉત્સાહ, ધીરજ, સત્ય, પ્રમાણિક્તા, સહૃદયતા, દૃઢ નિશ્ચય ને ઇચ્છાશક્તિ હોય તો માણસ સંજોગોથી પર જઈ પોતાની અંતર્ગત શક્તિઓને વિકસાવી શકે છે.