________________
પછી તો એ ભક્તિ ઔપચારિક ન રહેતાં સમાધિના સ્વરૂપમાં આત્મસાત્ બનીને સ્વભાવ જેવી બની જાય છે.
આ સમાધિનું વર્ણન છેલ્લા એક સો શ્લોકમાં કરવામાં આવ્યું છે. સમાધિમાન મુનિઓના જીવનની એકેકી ઝલક; એકેકી મસ્તી; એકેકી લાગણી અને એના એકેકા તારને મહોપાધ્યાજીએ વિધાતાની કોઈ અનોખી અદાથી એવું ચૈતન્ય અર્પી છે કે આ શ્લોકોનો સ્વાધ્યાય કરતાં ગમે તેવા અસમાધિસ્થ આત્માને પણ એ સમયે તો સમાધિ લાગી જ જાય; જીવન-સમાધિની તો આ પામર જીવ શું આશા રાખે ? પણ આ સ્તબકના સ્વાધ્યાય પૂરતી જે સમાધિની લગન સ્પર્શવા મળે છે એય નિશ્ચિતપણે સમ્યગ્દર્શન ગુણની નજાકત કળીનો સર્વાંગે સ્પર્શ અચૂકપણે કરાવી જાય છે એમ કહું તો કદાચ તે વિધાન જરા ય ખોટું નહિ હોય. અસ્તુ.
આ ગ્રન્થમાં બીજી ખૂબ જ મહત્ત્વની વાતને અદ્ભુત રીતે ગૂંથી લેવામાં આવી છે.
મોહરાજના ભયાનક આક્રમણોના મોરચામાં એકવાર ધર્મરાજ પણ જ્યારે હતાશ થઈ જાય છે, ત્યારે તેઓ સદ્બોધ મન્ત્રીની સલાહ લે છે. એ વખતે સદ્બોધ કહે છે કે આવા જંગોમાં બળને બદલે કળનો ઉપયોગ કરવો જોઈએ. એ કળ છે વિશુદ્ધ પુણ્ય ! એના ઉત્પાદન