________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
પાસસ્થાનાં આ લક્ષણ છે કે જે એષણા (ગોચરી)નો દોષ ટાળે નહીં, ધાત્રીદોષને આદરે અને વારેવારે વિગયને વાપરે. શય્યાતરના પિંડનો ત્યાગ ન કરે. વળી ઈર્યાસમિતિના પાલન વગર જેમતેમ ચાલે; સારી વસ્તુ વાપરે અને દેવની જેમ ભોજન કરે (સ્વાદિષ્ટ આહાર કરે), લોચ ન કરાવે, દરિદ્રનો ત્યાગ કરે, ઉઘાડે શરીરે લજ્જા પામે, શરી૨નો મેલ ધૂએ, પગમાં પગરખાં પહેરે, કારણ વિના કમરે પટ્ટો બાંધે, દેશ, ગામ, કુલ, પીઠ, પાટ વગેરે પ્રત્યે મમત્વ રાખે, વારેવારે બીજાને ઘેર જાય, તે મુનિ ચારિત્રગુણથી ઠાલો (રહિત – ખાલી) કહેવાય. ધનાઢ્યને ત્યાં વહોરવા જાય, શરીરશુદ્ધિ વગેરેમાં વધારે પાણી વાપરે, કેશ, રોમ, નખ અને મુખના દાંત વગેરેની શોભા કરે, ધનનો માલિક બને, ગચ્છભેદ કરે, ક્ષેત્રાતીત અને કાલાતીત આહાર વાપરે, મૂઢ એવો તે કૂટ-અસત્ય બોલે, રત્નાદિક પર્યાયથી મોટા હોય તેમનો તથા ગુરુનો પરાભવ કરે – અવિનય, આશાતના કરે. બીજાની નિંદા કરે, વળી શીલહીન મુનિમાં બીજા પણ ઘણા અવગુણ હોય.
૨૯૮
વિદ્યામંત્ર, યોગ આદિનો પ્રયોગ કરે, સુવાવડ સંબંધી તેમજ અન્ય રોગની ચિકિત્સા કરે, જીવન કાજે મંત્રતંત્રાદિક લખી આપે, પરિગ્રહ કરવામાં આહાર વાપરે, સ્ત્રીશય્યાનો ઉપયોગ કરે. પુંછણા વિના (કે જમીન પૂંજ્યા વિના) બેસે, રૂપ અને બળ માટે આહાર કરે, શાતાબહુલ એટલે કે શરીરનાં સુખસગવડ ઇચ્છનારો તે સંવત્સરીનો અઠ્ઠમ, ચોમાસીનો છઠ કે પક્ષ્મીનો ઉપવાસ કરે નહીં, માસકલ્પ પ્રમાણે અલગઅલગ ગામમાં વિહાર કરે નહીં, તે પાસસ્થામાં મુખ્ય છે.
તે ઉગ્ર વૈરાગ્યનો દેખાવ કરે પણ જિનેશ્વરપ્રભુના શુદ્ધ માર્ગને ઢાંકે, શાતાગારવમાં લીન એવો તે જ્યાં સંયમજીવનની હાનિ થાય તેવા ક્ષેત્રમાં રહે.
વિજયચંદ્ર કહે છે ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર જેવા કારણે મુનિ એક સ્થળે રહે તે પાછલાં પાપકર્મોનો નાશ કરે છે. ક્રોધ-માન-માયા-લોભને જીતીને, પરીષહોથી ક્ષોભ ન પામતો ધીર વૃદ્ધ પુરુષ એક સ્થાને રહે તો તેને ચિરકાળમાં કર્મોને ખપાવનારો કહ્યો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત અને તપ-ચારિત્ર વિશે ઉદ્યમી એવા સાધુ એક જ સ્થાનમાં વર્ષ પર્યન્ત રહે તો ય તેને સંયમ આરાધક કહેવામાં આવે છે. માટે તમે કાંઈ સમજો. જે સિદ્ધાંતમાં કરવાનું કહ્યું છે ને જે ન કરવાનું નિષેધ્યું છે તેમાં એકાંત નથી. લાભની ઇચ્છાવાળો વેપારી જેમ નફો-નુકસાન જોઈને પ્રવૃત્તિ કરે તેમ આપણે લાભ થાય તેવી પ્રવૃત્તિ કરવાની છે.’
દેવેન્દ્રસૂરિ કહે છે, ‘હૈ યતિ, સાંભળો, ધર્મમાં કાંઈ કપટ હોય નહીં. તમે આવાં માયાવચન શાને બોલો છો ? આ તો અમે નવી પ્રરૂપણા સાંભળી.
તમે કેટલા નવા બોલ આદરો છો, રોજ વિગય ગ્રહણ કરો છો; વળી એવું કહો છો કે જ્ઞાનીની ભક્તિ કરવી જોઈએ, તેમને ગાંઠડી ભરીને વસ્ત્ર આપવાં જોઈએ. રોજ વસ્ત્રનો કાપ કાઢવો, ફળ-શાકનો આહાર કરવો, સાધ્વીજીએ લાવેલા આહારને વાપરવો, પ્રતિક્રમણમાં દુવિહારનું પચ્ચખાણ કરવાનું કહેવું, શ્રાવકોને પ્રતિક્રમણ કરાવવું, અતિસંવિભાગનો દિવસ હોય ત્યારે ગીતાર્થ વહોરવા જાય અને એક નીવીયાતુ કર્યું હોય તોય તે ગ્રહણ કરી શકાય, ઇત્યાદિ ઘણા બોલને તમે ગીતાર્થ(જ્ઞાની) થઈને આદરો છો.'
'