________________
છે. દેહનો નેહ તને ભ્રાંતિ ઊભી કરે છે. તેથી તારે પ્રથમ તો સર્વજ્ઞના વચન પર વિશ્વાસ રાખવો જોઈએ.
વળી દેહથી આત્મા લક્ષણે ભિન્ન જ છે. તેને તેની પ્રતીતિ થાય છે તો પણ તું સ્વીકારતો નથી. જ્યારે દેહમાંથી આત્મા જતો રહે છે, ત્યારે દેહ અહીં શબ થઈને પડ્યું રહે છે. સાથે જતું નથી, તે જ બતાવે છે દેહ/જીવ ભિન્ન જ છે. તેને એક જેવા લાગે છે તે તારું અજ્ઞાન છે અને તેથી તું દેહની સર્વ ક્રિયાને આત્મવત્ માને છે, તેથી દેહનો નેહ છૂટતો નથી.
આત્માને આત્મારૂપે માનવો, સમતા સ્વરૂપ માનવો એ જીવનનું સત્ત્વ છે. તિજોરીમાં નાણાં છતાં તું ભિખારી? કારણ કે તે વિષે તારું અજ્ઞાન છે. તે સ્વયં પૂર્ણ સ્વરૂપ આત્મા છતાં અપૂર્ણ, હિન અને દીન કેમ?
જેનું જીવન હિનસત્ત્વ હોય તેનું મરણ તો દયનીય જ હોય. જીવન દરમ્યાન સેવેલા જ્ઞાન અને સમતા મરણ વખતે સમાધિ ટકાવે, જે સમાધિ સદ્ગતિ અપાવે અને પરંપરાએ પંચમગતિનું કારણ બને. જીવન દરમ્યાન વિષમતા સેવીને તું સમાધિ મરણ ઈચ્છે છે? અરે! તને બસો રૂપિયામાં વીસ હજારનો હાર ક્યાંથી મળશે?
તને ખબર છે કે શરીરનો રંગ બદલાતો નથી. પફ પાઉડર થોડીવાર તારા મુખને ઊજળું બનાવે પણ વ્યર્થ. એવી વ્યર્થ મહેનત શા માટે કરે છે? મનનો રંગ બદલી શકાય છે તે તું વિચારતો નથી. જે નિત્ય નથી તેને નિત્ય રાખવા તું પ્રયત્ન કરે છે. જે બદલાતું નથી તે બદલવા પ્રયત્ન કરે છે. જેમાં કેવળ નિષ્ફળતા મળે છે. તો હવે એક દાવ લગાવ જે નિત્ય છે તેને અનિત્યના પિંજરથી મુક્ત કરવા પુરુષાર્થ કર. જે બદલાય છે તેવા મનને આત્મભાવે સત્સંગના રંગે રંગી લે. ઉપશમ ભાવે મઢી લે.
છત્રીની ફેકટરીઓ વરસાદને રોકી ન શકે. ફકત એક છત્રી વરસાદથી તારા શરીરને ભિજાતું બચાવે. તેમ તું ગમે તેવા દેહ ધારણ કર તે તને જન્મ, મરણથી બચાવી નહિ શકે. પરંતુ તે દેહને તું ધર્મનું સાધન બનાવે તો દેહ વગર પણ તું સંપૂર્ણ સુખ પામી શકે.
૯૬