________________
હર
હતા ત્યારે રસ્તામાં એક ભરવાડે તેમને રોક્યા અને કહ્યું કે, “અહીંથી આ દિશામાં આગળ ન જશો, કારણ કે ત્યાં એક ભયંકર વિષધર સર્પ રહે છે, અને આજ સુધીમાં ત્યાં જનાર બધાને તેણે મારી નાંખ્યા છે.” ભગવાન મહાવીર તો નિર્ભય હતા. તેમણે વિશ્વમૈત્રી પર ધ્યાન એકાગ્ર કર્યું અને વિચાર્યું કે મારા જીવ પ્રત્યેના પ્રેમની આ ઉત્તમ કસોટી છે. મારા સમગ્ર કોષાણુઓમાં આ પ્રેમ વ્યાપ્ત છે કે કેમ તે મને જોવા દો. નહીં તો મારાં તત્ત્વજ્ઞાન, ધ્યાન, સાધના અને તપસ્યાનો શો અર્થ છે !’
તેઓ ભરવાડની વાત પર ધ્યાન ના આપતાં આગળ વધ્યા. એક ઝાડ તળે એક મોટો રાફડો હતો, જ્યાં આ ચંડકૌશિક નામનો સાપ રહેતો હતો. માણસની ગંધ પારખી તે રાફડામાંથી બહાર આવ્યો. બીજા માણસો તો આ જોઈને ડરી જઈ ભાગી જાય, ત્યાં પૂર્ણ પ્રેમથી ભરેલ મહાવીર ઊભા રહ્યા. તેઓ તેમની આંખમાંથી પ્રેમનાં શુદ્ધ ભાવ સ્પંદનો વરસાવતા હતા. તેમ છતાં ક્રોધી સર્પે તેમના પગે ભયંકર ડંખ માર્યો, પણ લોહી નીકળવાની જગ્યાએ પગમાંથી દૂધ નીકળ્યું. સર્પ આ જોઈ આશ્ચર્ય પામ્યો. જો માતાના એક બાળક પ્રત્યેના પ્રેમથી તેના સ્તનમાં લોહીનું દૂધમાં રૂપાંતર થાય છે, તો પછી મહાવીર તો વિશ્વના, સમગ્ર જીવોના માતા સમાન હતા. તેમની રગેરગમાં વિશ્વની સમગ્ર જીવરાશિ પ્રતિ વાત્સલ્ય ભરેલ હતું. તેથી પગમાંથી લોહીને બદલે દૂધ જ નીકળે ને !
મહાવીરે સર્પને કહ્યું, “ઓ ચંડકૌશિક-જાગૃત થા. તારા ક્રોધથી તું સર્પ બન્યો છે. હવે શાંત થા.”